• બુધવાર, 24 એપ્રિલ, 2024

મોબાઈલ શોધવા બંધમાંથી 41 લાખ લિટર પાણી વહાવી દેવાયું, અધિકારી સસ્પેન્ડ  

છત્તીસગઢમાં બાબુશાહીનો વરવો કિસ્સો 

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 26 : દેશમાં અમલદારોની જોહુકમી અને મનમાનીના કિસ્સા વારંવાર સંભળાતા હોય છે, પણ છત્તીસગઢના કાંકેર જિલ્લાના પખાંજૂરમાં તો રાજેશ વિશ્વાસ નામના ફૂડ ઈન્સ્પેક્ટરનો મોબાઈલ ફોન ડેમમાં પડી જતાં તેને શોધવા માટે ભીષણ ગરમીના આ દિવસોમાં દોઢ હજાર એકરમાં સિંચાઈ  થઈ શકે એટલું એટલે કે 41 લાખ લીટર પાણી ડેમમાંથી બહાર વહાવી દેવાનો ગંભીર મામલો બહાર આવ્યો છે. આ વાત ફેલાતાં ફૂડ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

વિશ્વાસ અહીં રજાઓ ગાળવા માટે આવ્યા હતા. તેમનો રૂા. 96000નો મોબાઈલ ફોન ડેમમાં પડી ગયો હતો. આ ફોનને બહાર કાઢવા માટે ત્રણ  દિવસ સુધી 30 એચ.પી.ના પંપનો ઉપયોગ કરવામાં આવ્યો અને તીવ્ર ઉનાળામાં લાખો લિટર પાણી વહી ગયા બાદ આખરે અધિકારીનો ફોન મળી ગયો. આ અત્યંત ગંભીર ઘટનાની ચોમેર ટીકા થતાં વિશ્વાસે દાવો કર્યો હતો કે તેણે આ માટે સિંચાઈ વિભાગના એસડીઓની મૈખિક અનુમતિ લીધી હતી. અહેવાલ વાયરલ થતાં ફૂડ ઈન્સ્પેક્ટરને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક