અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં કુદરતી આપત્તિ અને તેમાંય ખાસ કરીને ચોમાસામાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવાની ખાસ તાલીમ હોમગાર્ડના 1800 જવાનોને આપવામાં આવશે.
હોમગાર્ડના મહાનિર્દેશક બી.કે. ઉપાધ્યાય દ્વારા પસંદ કરાયેલા 18થી 35 વર્ષની વય જૂથના જવાનોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રશિક્ષણ પામેલા જવાનોને રાયગઢ, રત્નાગીરી, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી અને ખાસ કરીને કુદરતી આફતનું વધુ જોખમ ધરાવતા કોંકણ પટામાં તહેનાત કરવામાં આવશે. આ જવાનોને પૂર અને ભેખડ ધસી પડવા જેવી આફત સમયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે બોટનું સંચાલન, દોરડા અને વિવિધ ગાંઠનો ઉપયોગ, લાઇફ જેકેટનો અને વોકીટોકીનો ઉપયોગ, પાણીના પ્રવાહના ઝડપની સમજ તેમ જ અસરગ્રસ્તોને પ્રાથમિક ઉપચાર જેવી બાબતો શીખવવામાં આવશે. આ પાંચ દિવસના પ્રશિક્ષણમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાનો સમાવેશ હશે.
Published on: Mon, 20 Jun 2022