નવીદિલ્હી,તા.20: નેશનલ હેરાલ્ડનાં કેસમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોથીવખત પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને વધુ પૂછપરછ માટે મંગળવારે ફરીથી બોલાવાયા છે. ઈડીની આ કાર્યવાહી અને અગ્નિપથ યોજનાનાં વિરોધમાં કોંગ્રેસનાં કાર્યકરોએ જંતરમંતર ખાતે સત્યાગ્રહ વિરોધ પ્રદર્શન પણ જારી રાખ્યું હતું. કોંગ્રેસ દ્વારા આજનાં વિરોધ પ્રદર્શનને દેશવ્યાપી આંદોલન ગણાવવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી આજે સવારે 11 કલાકે ઈડીનાં કાર્યાલયે પહોંચ્યા હતાં અને ફરી એકવાર લાંબી પૂછતાછનો દોર આગળ વધ્યો હતો.
આ પહેલા ઈડીએ 3 દિવસમાં રાહુલની આશરે 30 કલાક જેટલી પૂછપરછ કરેલી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ઉપરાંત સોનિયા ગાંધી, સુમન દુબે અને સામ પિત્રોડા પણ આરોપી છે. જ્યારે અન્ય આરોપીઓ ઓસ્કાર ફર્નાન્ડિસ અને મોતીલાલ વોરાનું નિધન થઈ ચૂક્યું છે. એવાં અહેવાલો આવી રહ્યાં છે કે, રાહુલ ગાંધીનાં જવાબોથી ઈડી સંતુષ્ઠ છે. તેથી જ રાહુલની પૂછપરછનાં રેકોર્ડિંગ અને દસ્તાવેજોને ધ્યાનથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
Published on: Tue, 21 Jun 2022