મુંબઈ, તા. 29 : સંજય રાઉતે ખેડૂત આંદોલનના મુદ્દે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના નવા ખેતી કાયદા સામે આંદોલન કરતા ખેડૂતો જાણે આતંકવાદી હોય એવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેમને દિલ્હીમાં પ્રવેશવાની પણ મંજૂરી અપાતી નથી.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કેન્દ્રને ખેડૂતોની માગણીનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીની સીમા પાસે આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂતો દિલ્હી ચલોના નારાના ભાગરૂપે પાટનગરમાં પ્રવેશવા માગે છે.
સંજય રાઉતે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ નથી અપાતો એ દુખની વાત છે. જાણે એ કોઈ બહારના દેશના આતંકવાદી હોય એવો તેમની સાથે વ્યવહાર કરાઈ રહ્યો છે. કૃષિ કાયદા એ એક મુદ્દો છે. કેન્દ્રએ તેમની તમામ માગણીઓનો સહાનુભૂતિવૂર્વક વિચાર કરવો જોઈએ. અલગ અલગ રાજ્યોનો ખેતી સંબંધી દેખાવ સારો નથી. કેન્દ્રએ પહેલ કરીને તેમને મદદ કરવી જોઈએ.
Published on: Mon, 30 Nov 2020