મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મુંબઈ મહાપાલિકાએ જુદા જુદા સ્ટેટ, નેશનલ અને ઈન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડને કોવિડ-19 સંબંધિત પ્રતિબંધાત્મક ઉપાયોને અનુસરીને મુંબઈમાં તેમના સમયપત્રક મુજબ પ્રત્યક્ષમાં પરીક્ષા યોજવાની પરવાનગી આપી છે. પરવાનગી નહીં આપવાથી વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન થઈ શકે છે, એવું પાલિકાએ મંગળવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું. 18મી જાન્યુઆરીથી પરીક્ષા યોજવાની અનુમતિ આપવામાં આવી છે.
કોવિડ-19ની બીજી લહેરને અનુલક્ષીને પાલિકાએ ગયા મહિને 15મી જાન્યુઆરી સુધી શાળા અને કૉલેજ શરૂ કરવાની ના પાડી હતી. આદેશમાં પાલિકાએ જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ સ્કૂલ્સ ઍસોસિયેશન (કેમ્બ્રિજ બોર્ડ) નવમાથી બારમા ધોરણ સુધીની પરીક્ષા લઈ શકે છે. એસએસસી, એચએસસી (મહારાષ્ટ્ર બોર્ડ), સીબીએસઈ, આઈબી, સીઆઈએસસીઈ અને આઈજીસીએસઈ જેવા બોર્ડ દસમા અને બારમા ધોરણની પરીક્ષા તેમના ટાઈમટેબલ પ્રમાણે યોજી શકે છે.
Published on: Thu, 14 Jan 2021