મુંબઈ, તા. 7 : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી એયુવી કાર મામલે પોતાનું નિવેદન નોંધાવવા બુધવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સામે હાજર હતા. પરમબીર સિંહ સવારે સાડા નવ વાગ્યે દક્ષિણ મુંબઈ સ્થિત એનઆઈએના કાર્યાલય પહોંચી ગયા હતા. 25 ફબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર અને ત્યાર બાદ થાણેના વેપારી મનસુખ હિરેનની હત્યા મામલે સતત શંકાના ઘેરામાં સપડાયેલા પરમબીરને તેમના પદ પરથી હટાવી દેવાયા છે અને વર્તમાનમાં તેઓ હોમગાર્ડ્સના ડીજી પદ પર છે.
એન્ટિલિયા અને મનસુખ હિરેન હત્યા કેસમાં એનઆઈએએ સચીન વાઝેની ધરપકડ બાદ હવાલદાર વિનાયક શિંદે અને સટોડિયા નરેશ ગોરને તાબામાં લીધા છે. મનસુખ હિરેનની લાશ મળ્યા બાદ આ કેસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે એનઆઈએએ અદાલતને જણાવ્યું હતું કે વાઝે અને શિંદે એ બેઠકમાં સામેલ હતા જે બેઠકમાં મનસુખ હિરેનની હત્યાનું કાવતરું ઘડાયું હતું. એજન્સીએ દાવો કર્યો હતો કે સચીન વાઝેએ આ ષડ્યંત્રને અંજામ આપવા મોબાઇલ ફોનનો પ્રયોગ કર્યો હતો.
Published on: Thu, 08 Apr 2021
એન્ટિલિયા કેસમાં એનઆઈએ સામે પરમબીર સિંહે નિવેદન નોંધાવ્યું
