મુંબઈ, તા. 19 : મનુભાઈ પંચોળી-દર્શક ફાઉન્ડેશન દ્વારા 1992થી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારી વ્યક્તિ કે સંસ્થાને તેમના નોંધપાત્ર પ્રદાન માટે એવૉર્ડ અર્પણ કરવામાં આવે છે. 2021ના વર્ષના સાહિત્ય એવૉર્ડ માટે જાણીતા લેખક દિનકર જોષીની અને ગ્રામ પુનર્રચના એવૉર્ડ માટે મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન ભટ્ટ (પ્રયાસ સંસ્થા-માંગરોળ)ની પસંદગી કરવામાં આવી છે.
છેલ્લા સાત દાયકાથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન કરનારા દિનકરભાઈ જોષીના 165 જેટલા ગ્રંથ પ્રકાશિત થયા છે. નવલકથાઓ, ટૂંકી વાર્તા, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો અને સંપાદનોમાં તેમણે ઊંડું ખેડાણ ર્ક્યું છે. રામાયણ, મહાભારત અને વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં આલેખ્યા છે.
મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન ભટ્ટની `પ્રયાસ સંસ્થા' ગરુડેશ્વર અને નર્મદા જિલ્લાઓમાં 1977થી ગ્રામવિકાસનું કામ કરી રહી છે. આજે 80-85 વર્ષની વયે પણ તેઓ વિનોબા અને ગાંધી ચીંધ્યા માર્ગે 75 જિલ્લાઓમાં ગ્રામવિકાસ અને બાળ કેળવણીનાં સઘન કાર્યો હાથ ધરી રહ્યા છે.
Published on: Fri, 20 May 2022
સાહિત્યકાર દિનકર જોશીની દર્શક એવૉર્ડ માટે પસંદગી
