જાલના, તા. 26 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં શિવસેનાના વિધાનસભ્યોના બળવાને લીધે સર્જાયેલી સ્થિતિ હવે માત્ર બેથી ત્રણ દિવસમાં હલ થઈ જશે એમ ભાજપના આગેવાન અને કેન્દ્રના રેલવે ખાતાના રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેએ જણાવ્યું છે.
જાલનામાં રાષ્ટ્રવાદીના નેતા અને આરોગ્યપ્રધાન રાજેશ ટોપેની હાજરીમાં કૃષિ ખાતાની ઇમારતના લોકાર્પણ માટે યોજાયેલા સમારોહમાં દાનવેએ જણાવ્યું હતું કે આ સરકાર હવે બેથી ત્રણ દિવસ જ ટકશે. ભાજપને બળવાખોરી સાથે કોઈ સંબંધ નથી. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી દ્વારા વિકાસ ભંડોળને પોતાના મતવિસ્તારો ભણી વાળવામાં આવ્યું હોવાથી શિવસેનાના બળવાખોરોમાં નારાજગી અને અસંતોષ છે.
એકનાથ શિંદેની આગેવાની હેઠળનું જૂથ ભાજપમાં વિલીન થવાની સંભાવના વિશે પૂછવામાં આવતા દાનવેએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ દરખાસ્ત નથી. જો આ પ્રકારનો પ્રસ્તાવ આવશે તો વરિષ્ઠ નેતાઓ તે વિશે યોગ્ય નિર્ણય લેશે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે એવી સંભાવના નથી એમ દાનવેએ ઉમેર્યું હતું.
Published on: Mon, 27 Jun 2022
મહારાષ્ટ્રની રાજકીય કટોકટીનો બેથી ત્રણ દિવસમાં અંત આવશે : દાનવે
