અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : જૂની અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસમાં બીલ્ડરો દ્વારા ઊભા કરાતા વિક્ષેપને રોકવા મુંબઈ હાઉસિંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ અૉથોરિટી-`મ્હાડા'એ `ના-હરકત પ્રમાણપત્ર' (એન.ઓ.સી.)ના રિવેલિડેશન માટેની ફી રૂા. 20,000થી વધારીને દસ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં જૂની અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ આપવાની ગણતરીથી આ પગલું ભરવામાં આવ્યું છે.
`મ્હાડા' દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 500 ચો.મી.ના પ્લોટ માટે નવા પ્રસ્તાવની ચકાસણી અને એનઓસી સુધારિત પ્રસ્તાવ માટે એનઓસી માટેની ફી વધારીને રૂા. એક લાખ કરાઈ છે. 8000 ચો.મી. કરતાં વધારે ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે આ ફી 12,00,000 રૂપિયા કરવામાં આવી છે. એનઓસીની રિવેલિડેશન ફી વર્ષ દીઠ રૂા. દસ લાખ કરવામાં આવી છે. `મ્હાડા'ની એનઓસી ભાડૂતોની જગ્યા કે વિસ્તારને સર્ટિફાય કરે છે. તેના કારણે ભાડૂતોને સર્ટિફાય થયા મુજબ જગ્યા મળે છે. એકવાર `મ્હાડા' એનઓસી ઇસ્યુ કરે પછી મુંબઈ પાલિકા બિલ્ડિંગના પ્રસ્તાવની ચકાસણી કરીને મંજૂરી આપે છે.