• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ગાઝિયાબાદ ધર્માંતરણ કેસની કડી મુમ્બ્રામાં મળી : 400થી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવાયું  

અૉનલાઇન ગેમિંગ ઍપ પર હિન્દુ બનીને સગીરોને લક્ષ્ય બનાવવામાં આવે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : ગાઝિયાબાદ ધર્માંતરણ પ્રકરણમાં પોલીસને મહત્ત્વની માહિતીઓ મળી રહી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ધર્માંતરણ કરાવનારાઓએ મુંબ્રામાં 400 જણના ધર્મ પરિવર્તન કરાવ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર એક દિવસ પહેલા ગુજરાતથી ફોન કૉલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે મુંબ્રામાં ધર્માંતરણ કરાવવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. અંદાજે 400 લોકો તેમની જાળમાં ફસાઇને પોતાનો ધર્મ બદલી કર્યો છે. 

પોલીસના જણાવ્યાનુસાર ફોન કરાવનારી વ્યક્તિએ ઘણી મહત્ત્વની જાણકારી આપતાં કેટલાક નંબર પણ શેર કર્યા છે જે નંબર પરથી આ સંબંધમાં વાતચીત કરવામાં આવતી હતી. પોલીસ આ નંબરને ટ્રેસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ધર્માંતરણનું મોટું રેકેટ હોઇ શકે છે, પરંતુ આ નંબરની માહિતી મેળવવા માટે સાયબર સેલ, એટીએસ સહિત અનેક એજન્સીઓ કાર્ય કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ધર્માંતરણના આરોપી એક મૌલવીની ધરપકડ કરાઇ છે, જ્યારે તેનો સિંડિકેટ શાહનવાઝ ઉર્ફે બદ્દો હજી ફરાર છે. પોલીસ શાહનવાઝના ફોનની માહિતી મેળવી રહી છે. ગાઝિયાબાદની પોલીસ થાણે પોલીસની મદદથી દરોડા પાડી રહી છે. અત્યાર સુધી 10 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ શાહનવાઝ હજી પકડાયો નથી. 

તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે તે બિનમુસ્લિમ યુવકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. હિન્દુ નામ પરથી તેણે સોશિયલ મીડિયા પર ઘણી ફેક આઇડી પણ બનાવી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે સગીરોને મોટા પ્રમાણમાં લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. 

શહનવાઝે કેટલાક મુસ્લિમ યુવાનોની ટીમ બનાવી છે. આ ટીમ દ્વારા સગીર હિન્દુ છોકરાઓને પોતાની જાળમાં ફસાવે છે. તેઓ અૉનલાઇન ગેમિંગ ઍપમાં હિન્દુ બનીને જોડાય છે અને જે હિન્દુ છોકરાઓ છે તેમને લક્ષ્ય બનાવાય છે, એમ પોલીસે જણાવ્યું હતું. 

મૌલવી અબ્દુલ રહમાનની ધરપકડની ખબર મળતાં જ શહનવાઝ ફરાર થઇ ગયો હતો. પોલીસને શંકા છે કે અત્યાર સુધી 400 લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. 

લવ જેહાદ જેવા નકામા મુદ્દાને શા માટે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે? : પવાર

રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ મુદ્દે એનસીપી પ્રમુખ શરદ પવારને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આજે દેશ અને રાજ્યોમાં ઘણા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવા જેવી છે, પરંતુ લવ જેહાદ જેવા ફાલતુ મુદ્દાઓ પર શા માટે ફોકસ કરવામાં આવી રહ્યું છે એ મને સમજાતું નથી. લવ જેહાદ એ કોઈ મુદ્દો નથી. કારણ વગર બે સમુદાય વચ્ચે તણાવ પેદા કરવાની કોશિશો કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર આવા જ મુદ્દાઓને હવા આપવાનું કામ કરી રહી છે.

ભાજપ પર હુમલો કરતાં પવારે આગામી ચૂંટણી અંગે વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશનો નક્શો જોશો તો દરેક જગ્યાએ ભાજપ વિરોધી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેરળ, તામિલનાડુ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ છે જ નહીં. ગોવામાં વિધાનસભ્યોને પોતાની તરફ ખેંચીને ભાજપે સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં પણ એવું જ કર્યું. ગુજરાત, આસામ અને યુપીને બાદ કરતાં દેશનાં પ્રમુખ રાજ્યોમાં ભાજપની સરકાર નથી. તેથી વર્ષ 2024માં સરકાર બદલાશે અને આ માટે કોઈ જ્યોતિષની જરૂર નથી.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પવારનાં નિવેદન પર પલટવાર કરતાં કહ્યું હતું કે, શરદ પવાર વર્ષ 2014માં પણ આવી જ વાતો કરી રહ્યા હતા, પરંતુ મોટા ભાગના લોકોએ વડા પ્રધાન મોદીની પસંદગી કરી હતી. વર્ષ 2019માં પણ તેનું પુનરાવર્તન થયું હતું અને વર્ષ 2024માં પણ આવું જ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ