• શનિવાર, 20 એપ્રિલ, 2024

મુખ્ય પ્રધાનના હસ્તે સ્વચ્છ મુંબઈ વૉટ્સઍપ હેલ્પલાઈનનો શુભારંભ  

જાહેર સ્થળો પર કચરાના તાત્કાલિક નિકાલ માટે પાલિકાએ શરૂ કરી હેલ્પલાઈન

મુંબઈ, તા. 7 : નાળાસફાઈની જેમ જ મુંબઈગરાને કચરાની ફરિયાદો માટે વિશેષ વૉટ્સઍપ ચેટબૉટ સિસ્ટમની સુવિધા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં શિંદેના હસ્તે બુધવારે સ્વચ્છ મુંબઈ વૉટ્સઍપ હેલ્પલાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ હેલ્પલાઈન મુંબઈગરા માટે શરૂ કરવામાં આવી હતી. હવે નાગરિકો 8169681697 આ વૉટ્સઍપ નંબર પર કચરા અંગેની ફરિયાદ નોંધાવી શકશે.

આ પ્રસંગે વર્ષા બંગલામાં મુખ્ય પ્રધાન શિંદે સહિત રાજ્યના પોર્ટ ડેવલપમેન્ટ તથા ખાણકામ પ્રધાન દાદાજી ભુસે, સાંસદ રાહુલ શેવાળે, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર આય. એસ. ચહલ, એડિશનલ કમિશનર શ્રાવણ હર્ડિકર ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈગરાએ કચરાની ફરિયાદ કરી તો તેના પર પાલિકા દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને મુંબઈના રસ્તા સ્વચ્છ અને કચરામુક્ત કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો સુધી આ વૉટ્સઍપ નંબર પહોંચે અને તેમને ફરિયાદ કેવી રીતે કરવી એ અંગે માહિતી આપવા માટે પાલિકા પ્રશાસનને જાગરૂકતા લાવવી પડશે. નાગરિકોની ફરિયાદ આવ્યાના આઠ કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યો હતો. 

મુંબઈમાં ઘન કચરાનું વ્યવસ્થાપન વધુ પ્રભાવી બનાવવા માટે નાગરિકો પાલિકા સાથે સીધો સંપર્ક સાધી શકે તે હેતુથી આ વૉટ્સઍપ ચેટબોટ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ માટે પાલિકા પ્રશાસન દ્વારા 350 નિરિક્ષકની નિમણૂક કરવામાં આવી છે.  પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર પર નાગરિકો રસ્તા સાફ ન હોવાની ફરિયાદ નોંધાવી શકશે. આ ઉપરાંત કચરાના ઢગલા અને મૃત પ્રાણી દેખાય તો ફરિયાદની સાથે તસવીર, તે જગ્યાનું એડ્રેસ અથવા જીપીએસ લૉકેશન વૉટ્સઍપ નંબર પર મોકલવું આવશ્યક રહેશે. આ ફરિયાદ પાલિકાના વૉટ્સઍપ નંબર પર રજિસ્ટર થયા બાદ સંબંધિત વિભાગને પહોંચાડવામાં આવશે અને તાત્કાલિક એક્શન લેવામાં આવશે. સંબંધિત અધિકારી આ ફરિયાદનું સમાધાન કરીને તે વિસ્તારની તસવીર અપલૉડ કરશે તેથી નાગરિકોને પાલિકાના એક્શન અંગેની જાણકારી પણ મળશે, એવું પાલિકાના ઘન કચરાના વ્યવસ્થાપન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ