અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : માથેરાનની ઓળખ ગણાતી મિની ટૉય ટ્રેન પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નયનરમ્યો દૃષ્ય જોવા માટે પર્યટકો માથેરાન આવતા હોય છે. જોકે, નેરળ અને અમન લૉજના રૂટ પર દોડાવાતી ટૉય ટ્રેનની સેવાને ખંડિત કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 10 જૂનથી 15 અૉક્ટોબર સુધી ટૉય ટ્રેનની સેવા બંધ રહેશે. આ દરમિયાન માથેરાનથી અમન લૉજ શટલ સેવા ચાલુ રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે જે અમન લૉજથી સવારે 10.22 વાગ્યે રવાના થશે અને માથેરાન 10.44 વાગ્યે પહોંચશે. માથેરાનથી આ ટ્રેન 12.25 વાગ્યે રવાના થશે અને અમન લૉજ 12.43 વાગ્યે પહોંચશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.