• શુક્રવાર, 29 માર્ચ, 2024

હાર્બર રેલવે ખોટકાઈ : સીએસએમટી તરફ જતી લોકલના પ્રવાસીઓ કલાકો સુધી અટવાયા  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : હાર્બર રેલવે લાઈનમાં બુધવારે સવારે સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટતાં ધસારાના સમયે રેલ વ્યવહાર ખોરવાયો હોવાથી સવાર સવારમાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

નેરુળથી સીએસએમટી તરફ જઈ રહેલી લોકલ ટ્રેનનો જુઈ નગર સ્ટેશન નજીક ઓવરહેડ વાયર સવારે સવા સાત વાગ્યે તૂટયો હતો અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ કેવી રીતે લાગી અને વાયર કેવી રીતે તૂટયો એ અંગે રેલવે અધિકારીએ વધુ માહિતી આપી નથી. જોકે, સવારના સમયે હાર્બર રેલ સેવા ખોટકાઈ જતાં પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર હાર્બર રેલ સેવા નિર્ધારિત સમય કરતાં પોણો કલાક મોડી દોડાવવામાં આવી રહી હતી. ખારકોપરનો વાયર તૂટયો હોવાથી કેટલાક કલાકો સુધી ફક્ત સીએસએમટી વાશીના રૂટ પર જ ટ્રેન દોડાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.