• બુધવાર, 24 એપ્રિલ, 2024

મલબાર હિલના રિજ રોડ પર પાર્કિંગ અંગેની રહેવાસીઓની સમસ્યા યથાવત્

60 વર્ષ પછી કાયદો કેમ લાગુ કર્યો? રહેવાસીઓએ પ્રશાસન પાસે લેખિતમાં જવાબ માગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મુંબઈમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે. ગીચ વસતિને કારણે રસ્તા પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા વધી જતી હોવાથી પ્રશાસન દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નિયમોને કારણે મલબાર હિલના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

મલબાર હિલના રિજ રોડ પર રાતોરાત નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવતાં સ્થાનિકોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શિવસેના (યુબીટી) નેતા અરવિંદ સાવંતે સ્થાનિકોની 26મી મેએ મુલાકાત લઈને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ હવે ફરિયાદ પ્રધાન દીપક કેસરકરને કરી છે. તેમ જ જનતા દરબારમાં પણ ફરિયાદનો ઉકેલ માગ્યો હતો. આ સમસ્યા અંગે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન ટ્રાફિક વિભાગના પોલીસ કમિશનર પાસે લેખિતમાં સ્થાનિકોએ જવાબ માગ્યો છે. દરમિયાન હવે આ વિસ્તારમાં ટ્રાફિક વિભાગ દ્વારા પબ્લિક નોટિસ મૂકી દેવામાં આવી છે. જેમાં વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. અત્યાર સુધી રૂા.23,250નો દંડ વસૂલાયો હોવાનું બોર્ડ ઉપર જણાવાયું છે અને સ્થાનિકોને જાહેર પે ઍન્ડ પાર્કની સુવિધાનો ઉપયોગ કરવાના આદેશ આપી દેવાયા છે. 

છેલ્લાં 60 વર્ષથી આ વિસ્તારમાં પાર્કિંગને કારણે કોઈ સમસ્યા સર્જાઈ નહોતી, પરંતુ હવે એપ્રિલ મહિનાથી રાતોરાત તેને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિકો પોતાના વાહનો પાર્ક કરે તો તેમની પાસેથી આરટીઓ દ્વારા 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોવાનું મલબાર હિલ રેસિડન્ટ્સની કોર કમિટીના મેમ્બર પ્રકાશ મુનશીએ જણાવ્યું હતું. 

દરમિયાન વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પણ એડિશનલ પોલીસ કમિશનર નિસાર તંબોલી સાથે 19મી એપ્રિલ, 2023ના રહેવાસીઓ સાથે મુલાકાત કરી હતી તેમ છતાં હજી સુધી આ સમસ્યાનો કોઇ નિકાલ આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગ અને ધ્વનિ પ્રદૂષણ વિભાગ દ્વારા ડી વૉર્ડમાં માલાબાર હિલના બી. જી. ખેર માર્ગ (રિજ રોડ)ને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે ત્યારે રાતોરાત આ નિયમ લગાવવામાં આવ્યા બાદ રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલાબાર હિલના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિકારીઓ, સાંસદો, વિધાનસભ્યો અને અન્ય નેતા-અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી તેમને ફક્ત આશ્વાસનો જ મળ્યા છે. હજી સુધી તેમની સમસ્યાનો કોઇ નિકાલ ન આવ્યો હોવાનું મુનશીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક