ભારત સરકારે સાતમી તારીખે - (આજે) દેશભરમાં `બ્લૅકઆઉટ' - અંધારપટની ``મોક ડ્રીલ''ની જાહેરાત કરી તે પણ આપણા રાજકીય વ્યૂહનો એક મહત્ત્વનો ભાગ છે. આપણે આ પગલું - વ્યાયામ સંરક્ષણાત્મક હોવાનો સંદેશ આપ્યો છે. પાકિસ્તાન સરકાર રોજેરોજ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને ભારત ક્યારે આક્રમણ કરશે તેની `આગાહી' કરે છે ત્યારે આપણે દુનિયાને બતાવીએ છીએ કે અમે પાકિસ્તાનના આક્રમણ સામે સંરક્ષણ અને બચાવની તૈયારીરૂપે બ્લૅકઆઉટનો આદેશ આપ્યો છે. અલબત્ત - હવે જો આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરીએ તો તે આક્રમણ નહીં - પણ સ્વબચાવમાં વળતો પ્રહાર ગણાય.
પાકિસ્તાનના બે-જવાબદાર
પ્રધાનોએ ભારતને ધમકીઓ આપી છે કે સિંધુના જળસ્રોત બંધ કરશો તો તમારું લોહી સિંધુમાં
વહેશે. અણુબૉમ્બની ધમકીઓ પણ આપી છે! ધમકીના જવાબમાં આપણે ઝેલમ અને ચિનાબનાં પાણી રોકી
બતાવ્યાં છે. આ દંડાત્મક પગલું માત્ર દસ કલાક માટે ભરવામાં આવ્યું અને તે ``સેમ્પલ''
છે - બાકીના પ્રહાર માટે ભારત તૈયાર છે. હવે પાકિસ્તાન શું કહે છે અને કરે છે તે જોવાનું
છે.
પાકિસ્તાન ઈરાન,
તુર્કી અને મલયેશિયાની મદદ મળવાની આશા રાખે છે. ચીને શબ્દથી ટેકો આપ્યો છે પણ શસ્ત્રો
આપશે? દખલગીરી કરશે? બીજી બાજુ ભારતે તમામ મિત્ર દેશો ઉપરાંત અન્ય દેશોનો ટેકો મેળવ્યો
છે. પાકિસ્તાનના આતંકવાદની ખાતરી- જેમને અનુભવ થયો નથી તેવા દેશોને પણ થઈ છે.
પાકિસ્તાન યુએનની
સલામતી સમિતિ ઉપર આશા રાખીને બેઠું છે ત્યારે અમેરિકા અને રશિયાએ પણ ભારતને સમર્થન
આપ્યું છે. સલામતી સમિતિની બેઠક મળે તે પહેલાં રશિયાના પ્રમુખ પુતિને ફોન ઉપર નરેન્દ્ર
મોદીને સમર્થન આપીને કહ્યું છે કે આતંકનો અંત આવવો જ જોઈએ અને આતંકવાદને પોષતા લોકોને
પણ યોગ્ય સજા થવી જોઈએ. જાપાને પણ આતંકવાદ સામેના ભારતના જંગને ટેકો આપીને પાકિસ્તાનના
મિસાઈલ પ્રયોગોની સખત ટીકા કરી છે. વિશ્વમાં આતંકવિરોધી વાતાવરણ છે ત્યારે પાકિસ્તાનને
યોગ્ય સજા મળે તેની રાહ જોવાઈ રહી છે.