ટ્રુડોના નિવેદનથી તંગદિલી : વિદેશ મંત્રાલયની માર્ગદર્શિકા
નવી દિલ્હી, તા.20 : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ભારત પર આક્ષેપ મૂક્યા બાદ બંને દેશ વચ્ચે તંગદિલી વચ્ચે કેનેડામાં રહેતા ભારતીયોનો તણાવ વધી ગયો છે. દરમિયાન, આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરી તેમને સાવધાન રહેવા જણાવ્યું હતું.
માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તેમજ કેનેડા જવા માંગતા નાગરિકો પણ સાવચેતી રાખે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય.
તાજેતરમાં, આ ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવ્યા છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અમારું હાઈ કમિશન/કોન્સ્યુલેટ કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેશે.
કૅનેડા મુદ્દે દિલ્હીમાં બેઠકોનો દોર