• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

વીજ કરંટથી અનેક મૃત્યુ થયાંની રેલવે પોલીસની ફરિયાદમાં મળી જાણકારી  

ઓડિશા દુર્ઘટનામાં 40 મૃતદેહ ઇજા વિનાના 

નવી દિલ્હી, તા. 6 : ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલી દુર્ઘટનાની તપાસનું સુકાન સીબીઆઇએ સંભાળી લીધું છે. તપાસ એજન્સીએ દુર્ઘટનાની તપાસ શરૂ કરવાથી પહેલાં દસ્તાવેજ અને નિવેદન એકત્ર કરવા માટે આજે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો હતો. આ દરમ્યાન, ચોંકાવનારી વાત એ સામે બહાર આવી છે કે 40થી વધુ યાત્રિકોનું મૃત્યુ વીજ કરંટ લાગવાથી થયું છે કારણ કે આ મૃતકોનાં શબ પર કોઇ ઇજાનાં નિશાન નથી મળ્યા.

સીબીઆઇએ રેલવે મંત્રાલયની ભલામણ, ઓરિસ્સા રાજ્ય સરકારની સહમતી અને કેન્દ્ર સરકારના આદેશના આધારે ત્રેવડી રેલવે દુર્ઘટનાને લઇને કેસ નોંધ્યો છે.દરમ્યાન, બચાવ કાર્યમાં જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 40 શબ એવા બહાર કાઢવામાં આવ્યા હતા કે જેમને કોઇ ઇજા નહોતી થઇ. સંભવ છે કે વીજળીનો કરંટ લાગ્યો હોય. જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) દ્વારા દાખલ ફરિયાદમાં પણ કહેવામાં આવ્યું છે કે, `અનેક યાત્રિકોનું મૃત્યુ ટકરાવ અને કરંટ લાગવાના કારણે થયું છે.?ટ્રેન ઉપર લો ટેન્શન લાઇન પડતાં બોગીમાં કરંટ ફેલાઇ?ગયો હતો. સંભવ છે કે બેંગ્લોર-હાવડા એક્સપ્રેસથી કોરોમંડલ એક્સપ્રેસ ટકરાવાથી કેબલ તૂટી ગયો હતો.

આ સાથે મંગળવારે સીબીઆઇએ આ મામલે કેસ પણ નોંધ્યો છે. સીબીઆઇ? અધિકારીએ જણાવ્યું કે, એક ટીમ બાલાસોર પહોંચી છે અને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોનાં મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, સીબીઆઇએ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સંડોવતા ટ્રેન અકસ્માતના સંબંધમાં કેસ નોંધ્યો છે.

સીબીઆઇની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલવે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. બહાનગા બજાર રેલવે સ્ટેશન પર તૈનાત રેલવે અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. સીબીઆઇ અધિકારીઓની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ