મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર વિધાનસભ્યોને `ફોન કરવાની' શરૂઆત કરે પછી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આથે ચોક્કસ કેટલા વિધાનસભ્યો છે તેની સંખ્યા સ્પષ્ટ થશે, એમ વિધાનસભાના નવનિયુક્ત વિપક્ષી નેતા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું છે.
રાષ્ટ્રવાદીના નેતા અજિત પવાર આજે શિવસેના-ભાજપ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જોડાયા પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસે જિતેન્દ્ર આવ્હાડની નિમણૂક વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે કરી છે. અજિત પવારના નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદીના 53માંથી 36 વિધાનસભ્યોએ શિંદે સરકારને ટેકો જાહેર કર્યો છે.
આવ્હાડે જણાવ્યું હતું કે `આઘાડી' સરકારના નાણાપ્રધાન અજિત પવાર શિવસેનાના વિધાનસભ્યોના મતવિસ્તાર માટે પૂરતાં નાણાં ફાળવતા નથી એમ કહીને એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. હવે શિંદે અને અજિત પવારે બળવો કર્યો છે. રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે મારી નિમણૂક વિધાનસભાના વિપક્ષી નેતાપદે કરી છે. તેથી અપાત્ર ઠેરવવા અને પક્ષાંતરના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીએ તો બધા વિધાનસભ્યોએ મારા વ્હીપનું પાલન કરવું પડશે. દરમિયાન જયંત પાટીલે શરદ પવાર સાથે રહેવાનો નિર્ણય લીધો છે અને પ્રદેશાધ્યક્ષ તરીકેનું પદ જાળવી રાખ્યું છે.