• શનિવાર, 20 એપ્રિલ, 2024

રાહુલ ગાંધીના ગુણગાન લાચારી હોય એ જ લોકો ગાય : અતુલ ભાતખળકર  

મુંબઈ, તા. 27 : શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અચાનક કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મન મૂકીને પ્રશંસા કરતાં રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. 

ભાતખળકરે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના ગુણગાન ગાઈ રહ્યા છે એટલે તેઓ લાચાર છે. ઉદ્ધવ ઠાકરે કામ ન કરતાં ઘરે બેસી રહેનારા મુખ્ય પ્રધાન હતા. બાળાસાહેબ ઠાકરેનું હિંદુત્વ ઉદ્ધવ ઠાકરેએ છોડી દીધું છે. તેઓ કહે છે કે ચૂંટણી કરો. હું પૂછું છું કે તમે કોર્ટમાં દાખલ કરેલી જનહિતની અરજી પાછી શા માટે લેતા નથી? તમારા કારણે ચૂંટણીઓનું કામકાજ ખોરવાઈ ગયું. ઉદ્ધવ ઠાકરેને હકીકતમાં મનો વૈજ્ઞાનિકની તપાસની જરૂર છે. તેમનો પક્ષ અને ચિહ્ન જતું રહ્યું, નજીકના લોકોએ તેમનો સાથ છોડી દીધો તેમ છતાં તેઓ આક્ષેપો અને વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. વર્ષ 2019માં મોદીના ફોટો પોસ્ટરમાં લગાવીને ચૂંટાઈને આવ્યા છે એ તેમણે ભૂલવું ન જોઈએ. ઉદ્ધવ ઠાકરે તમે સ્વબળે ચૂંટાઈને આવો પછી વાત કરીએ. પરિષદમાં તેઓ રાજીનામું આપવાના હતા તેનું શું થયું?

રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવેલા વિધાનસભ્યોના મુદ્દે પ્રતિક્રિયા આપતાં અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે, વિધાનસભ્યોની નિમણૂક કરવાનો અંતિમ નિર્ણય રાજ્યપાલનો જ હોય છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નિર્ણય લઈ શકે છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્યપાલનો હોય છે, તેથી આ મુદ્દે વારંવાર એક જ વાત કરવી યોગ્ય નથી.