મુંબઈ, તા. 2 : જયપુર-મુંબઈ એક્સ્પ્રેસ ટ્રેનમાં આરપીએફ અધિકારીએ ગોળીબાર કર્યાની ઘટના બાદ રેલવે પોલીસ નાગરિકોની સુરક્ષા મુદ્દે વધુ ઍલર્ટ થઈ ગઈ છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓના માનસિક આરોગ્યની તપાસ કરવાનો નિર્ણય રેલવે પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. તપાસ બાદ સક્ષમ અધિકારી અને કર્મચારીઓને શત્રો ફાળવવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર રેલવે પોલીસના મુંબઈ, પુણે, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર એમ ચાર વિભાગના પોલીસ અધિકારી અને કર્મચારીઓના માનસિક આરોગ્યની તપાસ કરવામાં આવશે. જેમનું આરોગ્ય સારું હશે તેમને જ શત્ર ફાળવણી કરવામાં આવશે.
સોમવારે જયપુર-મુંબઈ એક્સ્પ્રેસ ટ્રેનમાં પાલઘર સ્ટેશન નજીક આરપીએફ અધિકારી ચેતન સિંહે તેની સાથે ફરજ બજાવી રહેલા અધિકારી અને ત્રણ પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી હતી, જે બાદ રેલવે પ્રશાસન ઍલર્ટ મોડ પર આવી ગયું છે.