• શનિવાર, 25 માર્ચ, 2023

માથેરાન જતાં પર્યટકો હવે પર્સનલ એસી કોચ બુક કરી શકશે   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 2 : મધ્ય રેલવેએ પોતાના પ્રવાસીઓની સુવિધા માટે માથેરાન ટોય ટ્રેનમાં વિશેષ એસી સલૂન કોચ જોડાશે. ટોય ટ્રેનથી જોડાયેલો આ એસી સલૂન કોચ આઠ બેઠકોનો હશે. આ કોચ કોઇપણ પ્રવાસી વિનંતી કરીને આખો કોચ ખાનગી ઉપયોગ માટે એક આખા દિવસ માટે બૂક કરી શકશે. નેરળથી માથેરાન અને પરત તે જ દિવસ માટે તેમ જ આખી રાત રહેવા માટે રાઉન્ડ ટ્રીપના આધારે બુકિંગ માટે ઉપલબ્ધ હશે. 

ટ્રેનનો સમય નેરળથી માથેરાન

ટ્રીપ-એ નેરળથી સવારે 8.50 વાગ્યે ટ્રેન ઊપડશે અને માથેરાન સવારે 11.30 વાગ્યે પહોંચશે. 

ટ્રીપ-બી નેરળથી સવારે 10.25 વાગ્યે ઊપડશે અને માથેરાન બપોરે 1.05 વાગ્યે પહોંચશે. 

માથેરાનથી નેરળ 

ટ્રીપ સી માથેરાનથી બપોરે 2.45 વાગ્યે ઊપડશે અને નેરળ સાંજે 4.30 વાગ્યે પહોંચશે

ટ્રીપ ડી માથેરાનથી સાંજે ચાર વાગ્યે ઊપડશે અને નેરળ સાંજે 6.40 વાગ્યે પહોંચશે. 

આ કોચનું ભાડું : રાઉન્ડ ટ્રીપ તે જ દિવસે પૂર્ણ કરી લેવાશે. સપ્તાહના દિવસોમાં આ કોચ માટે કર સાથે રૂા. 32,088 રહેશે અને સપ્તાહાંતે રૂા. 44,608 રહેશે. એક જ દિવસ માટે અને વાપસી પ્રવાસ માટે પ્રવાસી માત્ર એ-સી કે બી-ડીનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો પ્રવાસીને કોચ સાથે રાત્રિ રોકાણ કરવું હોય તો આ કોચનું ભાડું સપ્તાહ દરમિયાન રૂા. 32,088 અને રાત્રિ રોકાણની ફી રૂા. 1,500 પ્રતિ કલાક અને સપ્તાહાંતે રૂા. 44,608 સાથે રાત્રિ રોકાણ માટે રૂા. 1,800 પ્રતિ કલાકની ફી વસૂલાશે. રાત્રિ વિશ્રામ સાથે આવવા-જવા માટે પ્રવાસી એ,બી,સી,ડીમાંથી કોઇપણ વિકલ્પની પસંદગી કરી શકે છે. 

ઇચ્છુક પ્રવાસીઓએ પ્રવાસની તારીખના સાત દિવસ પહેલા રકમના 20 ટકા એડવાન્સ ભરીને બુકિંગ કરવાનું રહેશે. એડવાન્સ એસી સલૂન કોચનું બુકિંગ માટે સુરક્ષા જમા રાશિ રૂા. દસ હજારની રહેશે. બાકીની 80 ટકા રકમ પ્રવાસની તારીખના 48 કલાક પહેલા ભરવાની રહેશે. જો આખું પેમેન્ટ જમા નહીં થાય તો એડવાન્સ રકમ જપ્ત થશે અને બુકિંગ રદ ગણાશે. 48 કલાકની અંદર બુકિંગ રદ કરતાં કોઇપણ રિફંડ મળશે નહીં. બુકિંગ નેરળ સ્ટેશનની નજીકના કોઇપણ મધ્ય રેલવેના સ્ટેશનો ઉપર યુપીઆઇ, પીઓએસ કે નકદના માધ્યમથી કરી શકાશે.