• બુધવાર, 24 એપ્રિલ, 2024

શિંદે અને ફડણવીસે થાણેના નેતાઓને `યુતિધર્મ' પાળવાની શીખ આપી

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સાંસદ પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેના મતવિસ્તાર અંગે ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થયો હતો. જોકે, મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દરમિયાનગીરી કરીને થાણે જિલ્લાના બન્ને પક્ષના નેતાઓને યુતિધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. 

શિંદે અને ફડણવીસે આજે પાલઘરમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે સમયે ડોમ્બિવલીના વિધાનસભ્ય અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન રવીન્દ્ર ચવ્હાણને ધીરજ રાખવાની અને `યુતિધર્મ'નું પાલન કરવાની સૂચના આપી હતી. બાદમાં આજે સાંજે મુખ્ય પ્રધાન શિંદેએ ડૉ. શ્રીકાંત શિંદેને `સહ્યાદ્રી' અતિથિગૃહમાં મળીને થાણે જિલ્લાના વિવાદ વિશે વાત કરી હતી. મુખ્ય પ્રધાને ડૉ. શિંદેને પણ `યુતિધર્મ'નું પાલન કરવાનું કહ્યું છે. 

ડૉ. શ્રીકાંત શિંદેના કલ્યાણ-ડોમ્બિવલી લોકસભા ક્ષેત્રમાં ભાજપના સ્થાનિક નેતાઓએ કરેલાં નિવેદનોને લીધે શિવસેના વિરુદ્ધ ભાજપ એવો વિવાદ સર્જાયો હતો. તે અંગે ડૉ. શિંદેએ આક્રમક વલણ અપનાવતા મામલો વધુ વકર્યો હતો. હવે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે થાણે જિલ્લાના નેતાઓને `યુતિધર્મ' પાળવાની સલાહ આપતા સુલેહ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક