પંજાબના આદમપુર ઍરબેઝ ઓચિંતા પહોંચી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના જૂઠા દાવા અને ભ્રામક પ્રચાર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જવાનોનાં શૌર્યને બિરદાવતાં તેમણે સિંહગર્જના કરી છે કે, અૉપરેશન સિંદૂર કોઈ સામાન્ય સૈનિક અભિયાન નથી. ભારતની નીતિ, નિયત અને નિર્ણાયક ક્ષમતાનો ત્રિવેણી સંગમ છે. આ કાર્યવાહીનાં માધ્યમથી જવાનોએ દેશનું આત્મબળ વધાર્યું છે. દેશની એકતા મજબૂત બની અને ભારતનું સ્વાભિમાન નવી ઊંચાઈએ પહોંચ્યું છે.
ચાર દિવસમાં જ
પાકિસ્તાનને ખોખરું કરી દીધાના પ્રમાણ-પુરાવા દુનિયા સમક્ષ મુકાઈ રહ્યા છે. પાકિસ્તાને
પોતાની જનતાને ભ્રમજાળમાં રાખી... ક્રિકેટર અફ્રિદી અને બીજાઓ સૈન્યની સફળતા ઊજવતી
રૅલી કાઢે છે... બોલો... કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના જેવો તાલ છે. પાકિસ્તાન
હકીકતમાં તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યું છે. છાનો ગભરાટ ખૂબ છે. મોદીએ સ્પષ્ટ કહ્યું
છે કે, ભારતે ફક્ત કાર્યવાહી સ્થગિત કરી છે... અગર સીમાપારથી કોઈ ઊંબાડિયું થયું અથવા
તો દેશમાં આતંકી હુમલો થયો તો તેનો જડબાંતોડ જવાબ મળશે. ભારતનાં સશત્ર દળો હજુએ હાઈ
એલર્ટ મોડ ઉપર છે અને દેશમાં પાકિસ્તાનના મદદગાર તુર્કી, ચીન અને અઝરબૈજાનના બહિષ્કારની
ઝુંબેશ શરૂ થઈ છે. દુનિયાને સ્પષ્ટ સંદેશો મળશે કે, ભારત આતંકપરસ્ત દેશો સાથે કોઈ સંબંધ
રાખવા માગતું નથી.
પાકિસ્તાનની આંતરિક
હાલત ખરાબ છે. મોદી સરકારની ભૃકુટી હજુ તંગ છે અને સિંધુનાં પાણી રોકવા તથા વેપાર સંબંધો
સ્થગિત રાખવા જેવા નિર્ણયની અસર તેને હવે વર્તાશે. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને તેના
પ્રધાનો કારમો પરાજય ખમ્યા છતાં શેખી કરી રહ્યા છે કે, પાણીનો મુદ્દો નહીં ઉકેલાય તો
યુદ્ધબંધી હટાવી લેવાશે... વિદેશપ્રધાન મિયાં ઇશાક ડાર પહેલાં પોતાની હાલત તો જુઓ.
આર્થિક રીતે પાયમાલ
પાકિસ્તાનનું નિયંત્રણ સૈન્યના હાથમાં છે. શરીફ સરકાર દબાણમાં છે, આ સંજોગોમાં ભારત
માટે સ્થિતિ સાવચેતીભરી રહેવાની. આપણી સરકાર આ સંજોગો અને સ્થિતિને જાણે છે. પાકનો
ભરોસો થાય તેમ નથી. આપણે ત્રણ મોરચે સક્રિયતા રાખવાની છે. સરહદે સાબદાં રહીએ, રાજદ્વારી
મોરચે પાકિસ્તાનને ખુલ્લું પાડવું અને તેને મળતી મદદ-પુરવઠો-ભંડોળના સ્રોત સુકાવી દેવા.
આમ કરવા માટે મોદી સરકાર સક્ષમ અને કૃતનિશ્ચયી છે.