અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.28 : 21મી સદીના નવા ભારતમાં રવિવારે ઐતિહાસિક અવસર આવ્યો હતો. હવન-પૂજા-મંત્રોચ્ચાર સાથે દેશના નવા સંસદ ભવનનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.આ અવસરે નવી સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યંy કે છેલ્લા 9 વર્ષ નવનિર્માણ, ગરીબ કલ્યાણના રહ્યા છે.
20 જેટલા વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે રવિવારે નવા સંસદ ભવનનું અદકેરું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પૂર્વે તમિલનાડુથી આવેલા સંતોએ સમગ્ર વિધિ-વિધાનથી અનુષ્ઠાન કરાવ્યું હતું. પૂજાપાઠમાં વડાપ્રધાન મોદી સાથે લોકસભાના પ્રમુખ ઓમ બિરલા સાથે રહ્યા હતા. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સંતોએ વડાપ્રધાન મોદીને સેંગોલ (રાજદંડ) સોંપ્યો હતો જેને બાદમાં લોકસભામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટનના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનમાં પહેલું સંબોધન કરતાં કહ્યંy કે નવી સંસદ માત્ર એક ભવન નથી, 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોનું પ્રતીક છે. છેલ્લા 9 વર્ષ ભારતમાં નવનિર્માણના અને ગરીબ કલ્યાણના રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યંy કે આ ઈમારતના નિર્માણમાં 60 હજારથી વધુ મજદૂરોને રોજગારી મળી છે. તેમની આકરી મહેનતના સમ્માન માટે એક ડિજિટલ ગેલેરી બનાવવામાં આવી છે. સંબોધનમાં તેમણે પોતાની સરકારનું 9 વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરતાં કહ્યંy કે 9 વર્ષમાં ગરીબોના 4 કરોડ ઘર અને 11 કરોડ શૌચાલયો બન્યાનો પણ સંતોષ છે. 4 લાખ કિમીથી વધુ રસ્તાઓનું નિર્માણ કરાયું છે. પાણીના એક એક ટીપાંને બચાવવા 50 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરાયું છે. દેશમાં 30 હજારથી વધુ નવા પંચાયત ભવનો પણ બનાવવામાં આવ્યા છે. પંચાયત ભવનથી સંસદ સુધી અમારી નિષ્ઠા એક છે. દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ. લોકતંત્ર અમારા સંસ્કાર, વિચાર અને પરંપરા છે. નવા સંસદ ભવનને જોઈ દરેક ભારતીયોને ગર્વ થયો છે. આપણું બંધારણ એ જ આપણો સંકલ્પ છે. ગુલામી બાદ ભારતે ઘણું ખોઈને પોતાની નવી યાત્રા શરુ કરી છે. જે અનેક પડકારોને પાર કરતાં આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી છે.