• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઘૂસણખોર ઠાર

શ્રીનગર, તા. 16 : જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં અંકુશરેખા સમીપ સુરક્ષાદળોએ ચલાવેલા ઘૂસણખોરી વિરોધી 

અભિયાન દરમિયાન પાંચ આતંકવાદીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો છે.

ઉત્તર કાશ્મીરનાં જિલ્લામાં એલઓસી પાસે જુમાગુંડ વિસ્તારમાં એક બાતમીનાં આધારે ગુરુવારની રાતે જ પોલીસ અને સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત તલાશી અભિયાન બાદ આજે મળસ્કે આતંકવાદીઓ સાથે અથડામણ ફાટી નીકળી હતી.

કાશ્મીર પોલીસનાં એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, પાંચ વિદેશ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. હજી પણ વિસ્તારમાં વધુ આતંકીઓની આશંકાને ધ્યાને રાખીને તલાશી ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ઘૂસણખોરી રોધક અભિયાનનાં ભાગરૂપે જ ગુરુવારે પૂંચ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી નાખ્યો હતો અને તેમાં પણ ભારે પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો પકડાયો હતો. ફેબ્રુઆરી પછીથી અંકુશરેખાએ આ અભિયાનનાં ભાગરૂપે 10 મોટા ઘૂસણખોરીનાં પ્રયાસ નિષ્ફળ બન્યા છે.