બાંગ્લાદેશમાં હિન્દુઓ હિંસાનો ભોગ બની રહ્યા છે. હિન્દુવિરોધી હિંસાચાર સામે આક્રોશ વ્યક્ત કરવા માટે નવી દિલ્હી, ઇન્દોર, ભોપાલ સહિત અનેક સ્થળોએ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે એક કૉંગ્રેસી સંસદસભ્યે કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને ભારતનાં વડા પ્રધાન બનાવો અને પછી જુઓ કે ઇન્દિરા ગાંધીની જેમ તેઓ કેવાં ઝડપી અસરકારક પગલાં ભરે છે... બાંગ્લાદેશના હિન્દુઓને બચાવે છે...
સંસદસભ્ય ઇમરાન
મસૂદે સંસદ ભવનના પ્રાંગણમાં પત્રકારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉમેર્યું કે પ્રિયંકાજી
તો ઇન્દિરા ગાંધીનાં પૌત્રી છે જેમણે પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો કે તે ખોડ ભૂલી જાય.
પાકિસ્તાનને લાગેલા ઘાવ હજુ રૂઝાયા નથી.
કૉંગ્રેસી સભ્યનું
આ નિવેદન વાયરલ થયા પછી કૉંગ્રેસમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ - કોણ ચડે?
રાહુલ ગાંધી કે પ્રિયંકા વડરા ગાંધી? આખરે હાઈ કમાન્ડનાં વર્તુળોનું સૂચન કે દબાણ પછી
ઇમરાન મસૂદે સ્પષ્ટતા કરી કે રાહુલજી કૉંગ્રેસના નેતા છે અને પ્રિયંકા ગાંધી પણ નેતા
છે. બંને ઇન્દિરાજીના વંશજ છે જો એમના હાથમાં સત્તા હોય તો હિન્દુઓની આવી દશા હોત નહીં.
ટીવી ચૅનલોમાં
આ સંવાદ સાંભળ્યા પછી પત્રકારો રોબર્ટ વડરાનો અભિપ્રાય લેવા દોડયા ત્યારે વડરાએ પણ
કહ્યું કે - પ્રિયંકાનું ભવિષ્ય ઉજ્જવળ છે. રાજકારણમાં એક સમય એવો આવશે કે લોકો સામે
ચાલીને આવશે અને એમને સત્તા સોંપશે.
ઇમરાન મસૂદે બાંગ્લાદેશને
આઝાદ બનાવવામાં ભારતની કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. મુક્તિબાહિનીને ભારતીય સેનાની મદદ
મળ્યા પછી પાકિસ્તાની ફોજે શરણાગતિ સ્વીકારી હતી પણ ઇન્દિરાજી વખતે સંજોગ જુદા હતા.
આજે પ્રિયંકા અને રાહુલ વિપક્ષમાં બેઠાં છે - અને વડા પ્રધાનપદનું સ્વપ્ન છે: આમ છતાં
ઇન્દિરા ગાંધીના `પરાક્રમ'ને આજે પણ કૉંગ્રેસ યાદ કરે છે. રાહુલ ગાંધીની નેતાગીરી સામે
શંકા અને પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે ત્યારે કોઈ કૉંગ્રેસી સંસદસભ્યના હોઠે હૈયાની વાત
બહાર આવી છે.