મુંબઈ, તા. 2 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક, દેશનો પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂરો થવાનો હતો. જોકે, તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ રખડી પડયો એવું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમના કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના વિવિધ કામ માટે જરૂરી મંજૂરીઓ આપવામાં આવી નહોતી. જોકે, સરકાર બદલાયા બાદ વર્તમાન સરકારે તમામ મંજૂરીઓ આપી હોવાથી પ્રોજેક્ટને ગતિ મળી છે, એવું તેમણે હ્યું હતું.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને બુધવારે બજેટ જાહેર ર્ક્યું, એમાં રેલવે માટે રૂા. 2.41 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એમાં હાઈસ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન અને નવા ટ્રેક પર ભાર મૂકવામાં આવશે. આથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામમાં ગતિ આવવાની શક્યતા છે. કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલા વિલંબનું નારિયેળ મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ફોડયું હતું.
અમદાવાદ-બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં 98.76 ટકા, ગુજરાતમાં 98.91 ટકા અને દાદરા-નગર હવેલીમાં 100 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા-નગર હવેલી મળીને સરેરાશ 98.87 ટકા જમીન સંપાદન કરવામાં આવી હોવાની માહિતી નૅશનલ હાઈસ્પીડ રેલવે કૉર્પોરેશને આપી છે. રાજ્યમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લાગનારી 430.45 હૅક્ટર જમીનમાંથી 425.11 હૅક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. એમાં મુંબઈની 4.83 હૅક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. પાલઘર જિલ્લામાં 288.77 હૅક્ટર જમીનમાંથી લગભગ 286 જ્યારે થાણેમાં 136.85 હૅક્ટરમાંથી લગભગ 131 હૅક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી, 2016માં નૅશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશનની (એનએચએસઆરસીએલ)ની સ્થાપના કરી હતી. દેશભરમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક તૈયાર કરવું તથા પ્રકલ્પની રૂપરેખા અને અમલબજાવણી કરવાનું કામ આ કંપનીને સોંપવામાં આવ્યું છે. દેશની પહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને સપ્ટેમ્બર, 2020માં મંજૂરી આપ્યા બાદ સંપૂર્ણ દેશમાં સાત હાઈસ્પીડ રેલવે કૉરિડૉર માટે વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ પણ સરકારે એનએચએસઆરસીએલને સોંપ્યું છે.