• શુક્રવાર, 27 જૂન, 2025

મુંબઈ કોણાચી?

મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલ-પાથલ દરમિયાન 2022માં શિવસેનામાં ભંગાણ પડÎું. એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને માન્યતા મળી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ - ‘િશવસેના બાળાસાહેબ ઠાકરે’ - નામથી સંતોષ મેળવ્યો પણ હવે મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં શિવસેના કોની? અને મુંબઈ કોણાચી? નો ચુકાદો મુંબઈની જનતા આપશે. બંને નેતાઓ રાજકીય અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને હવે આખરી દાવ - મુકાબલો છે. તેથી જ ઉદ્ધવ ઠાકરેનો પડકાર છે - ‘આવી જાવ. મારી શકો તો મને મારો’ આ સંવાદ અંગ્રેજી ફિલ્મનો છે અને તે બોલવાથી કાંઈ નહીં વળે એવો ટોણો મારીને શિંદે કહે છે - રાજકીય રીતે મરેલા - હારેલાને શું મારવા?

બાળાસાહેબ ઠાકરેએ 1966માં શિવસેના - રાજકીય પક્ષ શરૂ કર્યા પછી 59મા સ્થાપના દિવસની ઉજવણી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેએ ચૂંટણી જંગના બ્યૂગલ - તૂતારી - વગાડીને કરી. મરાઠી માણૂસનાં હિત અને બાળાસાહેબની હિન્દુ વિચારધારા કોણે જાળવી અને કોણે ત્યાગ કર્યો ત્યાંથી લઈને હિન્દી ભાષાનું શિક્ષણ ફરજિયાત (?) કરવાનો વિવાદ ચૂંટણીના મુદ્દામાં છે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે કે મરાઠી જનતાની એકતા તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. મૂળ શિવસેનામાંથી - છૂટા પડેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમજૂતી, સમાધાન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાન્દ્રાની હોટેલમાં રાજ ઠાકરે સાથે મુલાકાત ગોઠવી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું છે આખરે તો શિવસૈનિકો અને મહારાષ્ટ્રની જનતાનું ધાર્યું થશે અને ટૂંકમાં જ લોકોને ખબર પડશે.

રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણમાં હિન્દીનો વિકલ્પ આપવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે કહે છે કે, મરાઠી માણૂસમાં ભેદભાવ - ભંગાણ પાડવા ભાજપ પ્રયાસ કરે છે. ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસ છે કે આખરે રાજ ઠાકરે સાથે સમાધાન થશે તેથી જ કહે છે કે ભાજપ શિવસેનાની ‘બ્રાન્ડ’ ખતમ કરવા માગે છે પણ અમે મહારાષ્ટ્રમાં - ભાજપનું નામોનિશાન ખતમ કરીશું - અૉપરેશન સિંદૂર અને વડા પ્રધાન મોદીની ટીકા કરતાં એમણે કહ્યું - હિન્દી ભાષા ફરજિયાત કરવી હોય તો પહેલાં ગુજરાતમાં કરો! મુંબઈમાં હિન્દી ભાષાના નામે મરાઠી અને બિનમરાઠીઓને અલગ પાડવાના પ્રયાસ છે. મુંબઈ અમારી છે. મરાઠી માણૂસને નબળા પાડવાના પ્રયાસ નિષ્ફળ થશે.

કેન્દ્ર સરકારે આપણા - સેનાના પગ બાંધી રાખ્યા હોત નહીં તો આપણી સેનાએ પાકિસ્તાન કબજે કર્યું હોત પણ ટ્રમ્પના દબાણને વશ થયા. પહલગામના આતંકવાદીઓ ક્યાં ગયા? ભાજપમાં જોડાઈ ગયા છે? એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપર ઊભરા ઠાલવ્યા.

બીજી બાજુ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઉપર આકરા પ્રહાર કર્યા. મુંબઈમાં ભ્રષ્ટાચારથી લૂંટ ચલાવી અને બાળાસાહેબની હિન્દુ વિચારધારાનો ત્યાગ - મુખ્ય પ્રધાનની ખુરસી લેવા માટે કર્યો પણ હિન્દુત્વ અમારો આત્મા છે અને મરાઠી અમારો શ્વાસ છે. ઉદ્ધવને તો ચૂંટણી વખતે મરાઠી માણૂસ યાદ આવે છે. બાળાસાહેબ ગયા પછી મુંબઈના મરાઠી માણૂસની વસતિ દૂરનાં પરાંઓમાં ગઈ છે તમે 20 વર્ષ સત્તા ઉપર હતા તો શું કર્યું?

આરએસએસને રાષ્ટ્રદ્રોહીઓ સાથે સરખાવવા બદલ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ લોકોને જેલમાં મોકલનાર ઉદ્ધવ ઠાકરે ઉપર એકનાથ શિંદેએ આકરા પ્રહાર કર્યા.

મુંબઈના ચૂંટણી જંગની આ તો હજી શરૂઆત છે.