કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પુસ્તકનાં વિમોચન દરમિયાન કરેલી ટિપ્પણી પછી ભાષા મુદ્દે નવેસરથી તકરાર શરૂ થઈ છે. પૂર્વ સનદી અધિકારી આશુતોષ અગ્નિહોત્રિનું પુસ્તક રજૂ કરતાં ગૃહપ્રધાને ભારતીય ભાષાઓનું મહત્ત્વ રેખાંકિત કરતાં કહ્યું હતું કે, ભારતીય ભાષા વિના આપણે સાચા ભારતીય કહેવાઈ ન શકીએ... તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં એવા દિવસો આવશે કે અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે. અમિત શાહના આ વિધાનનો મર્મ ભારતીય ભાષાઓનું મહિમાગાન કરવાનો છે, પણ તેનું `અંગ્રેજી વિરોધી' તરીકે અર્થઘટન કરીને ટીકા-ટિપ્પણી શરૂ થઈ છે.
વિરોધ
પક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અંગ્રેજી ભાષા દુનિયા સાથે સાંકળતો પુલ છે, એક શક્તિ છે, બંધનો તોડવાનું સાધન છે. તેમણે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ નથી ઇચ્છતા કે, ગરીબ બાળકો અંગ્રેજી શીખે, અંગ્રેજી ભણીને પ્રશ્નો પૂછતા થાય. આજના સમયમાં અંગ્રેજી એટલું જ જરૂરી છે, જેટલી આપણી માતૃભાષા. નોકરી અપાવવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં અંગ્રેજીની ભૂમિકા મહત્ત્વની છે એમ રાહુલ કહે છે.
વિરોધ
પક્ષના નેતાના રાજકીય આક્ષેપને એક કોરાણે મૂકીને કહી શકીએ કે, બાકીની વાતમાં દમ છે. અમિત શાહે આની વિરુદ્ધ કંઈ નથી કહ્યું. અંગ્રેજી વિશ્વવ્યાપી ભાષા છે, સર્વસ્વીકૃત છે એ ખરું, પણ તેને લીધે આપણી રાષ્ટ્રભાષા કે પ્રાદેશિક ભાષા પ્રત્યે દુર્વ્યવહાર ન થવો જોઈએ. ગૃહપ્રધાન કહે છે કે, આપણી ખુદની સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસને સમજવા માટે માતૃભાષા વધુ સારું માધ્યમ છે.
ભારત
બહુવિધભાષી-ગૌરવશાળી દેશ છે જેમાં કોઈ એક ભાષા પ્રત્યે પ્રેમ કે ધિક્કારને સ્થાન નથી. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું તેમ સરકારી વહીવટમાં વિવિધ પ્રક્રિયામાં એક સમયે ફક્ત અંગ્રેજી ભાષા ચાલતી, ત્યાં હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ વધતું ચાલ્યું છે. અંગ્રેજી આવડતું હશે તો જ આગળ વધી શકાશે એવું રહ્યું નથી. અંગ્રેજી સારી રીતે આવડે એમાં ખોટું નથી, પણ બીજી ભારતીય ભાષાઓનો તિરસ્કાર ન થવો જોઈએ.