• શુક્રવાર, 27 જૂન, 2025

આપ માટે આનંદ, ભાજપને આંચકો, કૉંગ્રેસ માટે આત્મમંથન

ગુજરાતની એક પેટાચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે ‘િચંતાકારક - જાગતે રહો’નો સંદેશ છે. વિસાવદરની બેઠક ‘આપ’ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મળી છે તેથી ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ખુશખુશાલ છે. દિલ્હીમાં પરાજય પછી આશાનું એક કિરણ દેખાયું છે. તેમાં પણ ગુજરાત હોવાથી એમને સુવર્ણ કિરણ દેખાયું છે અને કહે છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘આપની આંધી’ આવશે. કૉંગ્રેસના હતાશ થયેલા કાર્યકરોને ‘આપ’ના શરણે આવવાનું જાહેર આમંત્રણ એમણે આપ્યું છે! ગુજરાત વિધાનસભામાં અસ્થિરતાની શક્યતા નથી. પ્રશ્ન જ નથી પણ નિરાશ કૉંગ્રેસી કાર્યકરોને હવે ભરતી ‘આપ’માં કરીને ભાજપનો વિકલ્પ આપવાનો વ્યૂહ કેજરીવાલનો છે તે ભાજપ સામે પડકાર છે. આપ બળે નહીં પણ નિર્બળ કૉંગ્રેસના બળ ઉપર કેજરીવાલ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે લોકોએ ‘આપ’ના સભ્યો અને કાર્યકરોની કામગીરી - વાણી અને વર્તન ધ્યાનમાં રાખવાં પડશે.

ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણીનાં પરિણામ જાહેર થયાં, કડીમાં તો ભાજપે ધાર્યું નિશાન પાર પાડÎું છે પરંતુ એક સમયે ભાજપનો ગઢ ગણાતી, પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જ્યાંથી ભાજપ અને પછી જીપીપીમાંથી ચૂંટણી જીત્યા હતા તે વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો 17,581 મતની જંગી સરસાઈથી વિજય થયો છે. પક્ષપલટા દ્વારા ભાજપે છિનવી હતી તે બેઠક ફરીથી મેળવીને જાળવી રાખવામાં ‘આપ’ સફળ થયો છે. જીત-હાર તો ચૂંટણીમાં થાય પરંતુ ગુજરાતમાં ભાજપ હારે તે વાત ભાજપ માટે આંચકાજનક અને પ્રજા માટે વિસ્મયકારક છે. વિસાવદરની બેઠકના પરિણામે એ પ્રસ્થાપિત કર્યું કે સત્તા, પૈસા, કાર્યકર્તા, પ્રચારકોનો કાફલો હોવા છતાં ભાજપને હરાવી શકાય છે! આ પરિણામનાં કારણોની પણ જે ચર્ચા છે તે ભાજપ નેતૃત્વ માટે ઘણું મનોમંથન માગી લે છે. દેશનાં ચાર રાજ્યોની પાંચ બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે. તેમાં વિસાવદરની ચર્ચા વધુ છે.

દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીનાં પાટિયાં ઊતરી ગયાં પછી એમ લાગતું હતું કે હવે ગુજરાતમાં તો તેનો ગજ ક્યાં વાગવાનો? પરંતુ વિસાવદરની બેઠક ઉપર સાવરણો ફર્યો છે. પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓનો આત્મવિશ્વાસ ખોટો સાબિત થયો છે. આખા દેશમાં અૉપરેશન સિંદૂર સહિતની બાબતે ભાજપ તરફી વાતાવરણ છે ત્યારે વિધાનસભામાં 161 બેઠકોની તોતિંગ ક્ષમતા સાથે બેઠેલા ભાજપે પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી આ મહત્ત્વની બેઠક પાટીદાર ઉમેદવાર હોવા છતાં ગુમાવી છે.

ઉમેદવારની પસંદગીમાં ભાજપે થાપ ખાધી. 2017માં આ બેઠક પર જીતેલા કૉંગ્રેસના હર્ષદ રિબડિયાને, 2022માં જીતેલા ‘આપ’ના ભૂપત ભાયાણીને ભાજપે કેસરિયા ખેસ પહેરાવ્યા. જવાહર ચાવડાને તો ભાજપે ‘લીલા તોરણે’ આવકાર આપ્યો જ હતો. પરંતુ આ ચૂંટણીમાં ચોથી વ્યક્તિને ટિકિટ આપી. પરંતુ કિરીટ પટેલ ઉપર સહકારી ક્ષેત્રમાં અને અન્ય ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો એક પત્ર તો મૂળ કૉંગ્રેસી અને પછી ભાજપ સરકારમાં પ્રધાન રહેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ જ લખ્યો હતો. વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા અન્ય ઉમેદવારોએ પક્ષપલટો કર્યો તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રચારમાં કર્યો અને ખાતરી આપી કે ગોપાલ પક્ષપલટો નહીં કરે.

ગોપાલ ઇટાલિયાનો પોતાનો પ્રચાર સાતત્યપૂર્ણ હતો. ગામડે ગામડે તેઓ છેલ્લા છ માસમાં ફર્યા હતા. ભાજપને આંતરિક ખટરાગ, પક્ષપલટા સામે પ્રજાનો વિરોધ અને ભ્રષ્ટાચારના આક્ષેપો નડી ગયા. જાહેર સભાઓમાં છવાઈ જતા ગોપાલ, વિધાનસભામાં કેવો દેખાવ કરે છે તે જોવાનું છે. બીજી તરફ કડી મતવિસ્તારની બેઠક ઉપર તો ભાજપને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. રાજેન્દ્ર ચાવડા જીત્યા છે. જોકે ભાજપ માટે વિસાવદરનો ઘા વસમો છે. કૉંગ્રેસે તો બધે બધું ગુમાવ્યું છે. વિસાવદરમાં ભાજપની હારથી હરખાતી કૉંગ્રેસે હવે પોતાની ખુશી માટે પ્રયાસ કરવાના છે! પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક રાજીનામું આપ્યું છે.

આમ આદમી પાર્ટીની જીતથી ભાજપ સંગઠન અને સરકાર માટે થોડી પીછેહઠ જેવી સ્થિતિ છે પરંતુ ગુજરાતની રાજનીતિ ઉપર આ પરિણામની દુરોગામી અસર પડવાની શક્યતા અત્યારે દેખાતી નથી. એક અભિપ્રાય એવો પણ છે કે આ વર્ષના અંતે આવી રહેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી અને 2027ના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જો આપની હાજરી હોય તો કૉંગ્રેસને વધારે રાજકીય પછડાટ મળે તેવો પણ ભાજપનો દૃષ્ટિકોણ હોઈ શકે.

ભાજપના એકચક્રી શાસનની ગતિમાં એક અવરોધ જરૂર આવ્યો છે. પ્રજાની મુશ્કેલી, પ્રશ્નો જેવી બાબતોની ક્યાંક અવગણના તો નથી થતી ને? તે વિચાર તો પક્ષે આ પરિણામ પછી કરવો રહ્યો. દેશનાં અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીનાં જે પરિણામ આવ્યાં છે તેમાં કેરળમાં કૉંગ્રેસના આર્યદન શૌકતે સીપીઆઈએમના એમ. સ્વરાજને હરાવ્યા છે. પંજાબની લુધિયાણા વેસ્ટ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સંજીવ અરોરા જીત્યા તે તો બરાબર પરંતુ તેઓ રાજ્યસભામાં છે હવે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારે તેમની બેઠક ખાલી થતાં અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે. અત્યારે તેઓ ઇનકાર કરી રહ્યા છે પણ આખરે ‘કાર્યકરોના દબાણ’થી નિર્ણય બદલે તો નવાઈ નહીં.

પેટાચૂંટણીનાં પરિણામનું તારણ સ્પષ્ટ છે. મતદારોએ પ્રાદેશિક સ્થિતિ અને મુદ્દાઓને મહત્ત્વ આપ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પછી બંગાળમાં વિધાનસભાની અગિયાર બેઠકો માટે પેટાચૂંટણી થઈ છે અને તે બધી જ તૃણમૂલ કૉંગ્રેસે મેળવી છે. આ પેટાચૂંટણીમાં હિન્દુ વોટની સંખ્યા વધી હોવાનો દાવો વિપક્ષી નેતા - ભાજપના સુવેન્દુ અધિકારીએ કર્યો છે.