ભારતના અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઉજ્જવળ પ્રકરણ સમસ્ત બ્રહ્માંડની સાક્ષીએ આજે લખાઈ ગયું છે. ભારતના શુભાંશુ શુક્લા અન્ય ત્રણ અંતરીક્ષયાત્રીઓ સાથે 28 કલાકની અવકાશીય સફર પૂર્ણ કરીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા છે. એક્સિયોમ-4 મીશન વ્યોમ વિહાર કરી રહ્યું છે. સૌપ્રથમ મહત્ત્વની વાત એ છે કે, આ માત્ર વૈજ્ઞાનિક ઉપલબ્ધિ નથી પરંતુ ભારતની વૈશ્વિક ટેક્નિકલ ક્ષમતાના રૂપમાં ઊભરી રહેલી નવી સ્થિતિનું પ્રમાણ છે. શુભાંશુ ભારતના બીજા અવકાશયાત્રી છે, જેઓ અંતરીક્ષમાં ગયા છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા તેઓ પ્રથમ ભારતીય છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં ચંદ્રયાન પછી ટૂંકાગાળામાં આ મહત્ત્વની સિદ્ધિ છે.
અંતરીક્ષયાન ડ્રેગન સ્પેસ સ્ટેશન પર ‘ડોક’ થયું તેની ખુશી
સ્વભાવિક રીતે સમગ્ર દેશમાં છે. 14 દિવસ આ યાન સ્પેસમાં રહેશે. શુભાંશુ કુલ 7 પ્રકારના
વિશિષ્ટ સંશોધન અંતરીક્ષમાં કરશે. અવકાશયાત્રી જ્યારે અંતરીક્ષમાં વધારે સમય વિતાવે
ત્યારે તેમની માંસપેશીઓ પર શું અસર થાય તેનું અધ્યયન થશે. ઉપરાંત અડધા મિલીમીટરથી પણ
નાના ટાર્ડીગ્રેડ જીવ ઉપર સંશોધન થશે. અંતરીક્ષમાં આ જીવ પર શું અસર થાય છે? તે મુખ્ય
શોધ રહેશે. ભવિષ્યમાં અંતરીક્ષયાત્રીઓના પોષણમાં જેની મહત્ત્વની ભૂમિકા રહેવાની શક્યતા
છે તેવી સૂક્ષ્મ શેવાળ પર સંશોધન થશે. મગ અને મેથીના બીજ તથા અંકુરણ પ્રક્રિયા પર સંશોધન
થશે. ફક્ત આટલી જ વિગતોથી સ્પષ્ટ છે કે, આ મીશન સમસ્ત પૃથ્વી માટે અને વૈશ્વિક સ્તરે
ચાલતા અંતરીક્ષ વિજ્ઞાનના કાર્યક્રમો માટે કેટલું અગત્યનું છે.