• શનિવાર, 22 નવેમ્બર, 2025

શેખ હસીનાને ફાંસીની સજા ન્યાયનું ફારસ

અરાજકતા અને કટ્ટરતાના ભરખામાં અટવાયેલા બાંગ્લાદેશમાં અપેક્ષા મુજબ માજી વડા પ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા કરાઈ છે. બાંગ્લાદેશમાં ભારે ઉગ્ર અને લોહિયાળ આંદોલન બાદ સત્તા છોડીને નવી દિલ્હી જતાં રહેલાં શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં આંતરરાષ્ટ્રીય ગુના માટેની ખાસ અદાલતે માનવતા વિરુદ્ધના અપરાધ બદલ ફાંસીની સજા ફરમાવી છે. હાલે નવી દિલ્હીના એક સરકારી સેફ હાઉસમાં આશ્રય લઈ રહેલાં આ નેતાને સજા થતાં હવે બાંગ્લાદેશ સરકારે તેમને પરત મોકલવાની નવેસરથી ભારત સરકાર સમક્ષ માગણી પણ કરી નાખી છે. ગયા વર્ષે બાંગ્લાદેશમાં યુવાનોના ઉગ્ર આંદોલનને પગલે ત્યાં સરકારને સત્તા છોડવાની ફરજ પડી હતી.  ત્યારથી નવી દિલ્હીમાં આશ્રય લઈ રહેલાં માજી વડા પ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ સંધિ હેઠળ પોતાના દેશ પરત મોકલવાની બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકાર સમક્ષ માગ કરી છે.  

આ છેલ્લા સત્તાપલટા સુધી બાંગ્લાદેશના ભારત સાથે સારા સંબંધ રહ્યા છે, પણ હવે ત્યાંની વચગાળાની સરકારનું વલણ શત્રુતાભર્યું રહ્યંy છે. અત્યાર સુધી પાકિસ્તાનથી અળગા રહેતા બાંગ્લાદેશે હવે તેની સાથે ગાઢ સંબંધ કેળવવા શરૂ કર્યા છે. એક રીતે ભારતવિરોધી ધરી ત્યાં સક્રિય બની છે. હવે શેખ હસીનાના મામલે વાત વધુ વણસે એવી પૂરી શક્યતા છે. શેખ હસીનાને સજા થતાં તેમને 2013ની પ્રત્યાર્પણ સંધિ મુજબ પોતાના દેશ પરત મોકલવા જોઈએ એવી બાંગ્લાદેશની માગ છે.  

જોકે, બાંગ્લાદેશ જે પ્રત્યાર્પણ કરારને ટાંકી રહ્યંy છે, તેની કલમ આઠ મુજબ જો આરોપીના જીવને જોખમ હોય, તેની સામે નિષ્પક્ષ કાર્યવાહી થઈ ન હોય અથવા અદાલતી કાર્યવાહીનો ઉદ્દેશ ન્યાય નહીં પણ રાજકીય હોય તેવા સંજોગોમાં ભારત પ્રત્યાર્પણની વિનંતીને નકારી શકે છે. શેખ હસીનાના કેસમાં તેમને પોતાનો બચાવ કરવાની તક પણ અપાઈ ન હતી. એટલે આ અદાલતી કાર્યવાહી ફારસ બની રહી હતી, જેનો ચુકાદો પણ સૌને ખ્યાલ જ હતો. આ કહેવાતા ખટલા સામે આંતરરાષ્ટ્રીય સંગઠનો વાંધો ઉઠાવી ચૂક્યાં છે. આમે શેખ હસીના તેમની સામેની સજા સામે ઉપલી અદાલતોમાં અપીલ કરી શકે છે, પણ જે રીતે ત્યાં ન્યાયતંત્ર પર સરકારનું દબાણ છે તે જોતાં તેમની અપીલ ધ્યાને લેવાય એવી શક્યતા બહુ ઓછી છે, પણ તેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદ ઉપરાંત અન્ય વૈશ્વિક સંગઠનોની પાસે ન્યાય માટે વિનંતી કરે એવી શક્યતા છે.  

દરમિયાન મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશમાં સ્થિરતા સ્થાપવામાં સફળ થઈ નથી. આંદોલન ચલાવી ચૂકેલા વિદ્યાર્થીઓનું મજબૂત સરકારનું સ્વપ્ન સાકાર થતું જણાતું નથી.  આવામાં શેખ હસીનાને જે રીતે સજા કરાઈ છે તેનાથી દેશમાં સ્થિતિ વણસી શકે તેમ છે. તેમના અવામી લીગના કાર્યકરોનો રોષ ફાટી નીકળે તો દેશમાં ભારે અરાજકતા ફેલાઈ શકે છે. આવનારો સમય બાંગ્લાદેશ માટે ભારે પડકારરૂપ બની રહેશે અને તેમાંથી માર્ગ શોધવાનું મોહમ્મદ યુનુસ અને તેમના સાથીદારો માટે લગભગ અશક્ય બની રહેશે એમ જણાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક