બિહારના મુખ્ય પ્રધાનપદના શપથ દસમી વખત લઈને નીતિશ કુમારે ઐતિહાસિક વિક્રમ બનાવ્યો છે. જનતા દળ (યુ)થી પાંચ બેઠકો વધુ મેળવી હોવા છતાં ભાજપે વચન પાળ્યું છે. ચૂંટણી નીતિશના નેતૃત્વમાં લડયા પછી સરકાર પણ એમના નેતૃત્વમાં આવી છે. ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી પણ નીતિશ કુમારના ભાવિ અંગે શંકા વ્યક્ત કરનારા ભોંઠા પડયા છે. સરકારના ગઠનમાં વાંધા પડશે એવી ધારણા પણ ખોટી પડી છે. વિધાનસભાના સ્પીકર, ગૃહવિભાગ અને નાયબ મુખ્ય પ્રધાનો અંગે ખેંચતાણ થઈ પણ આખરે બન્ને મુખ્ય પક્ષોએ જૂની સરકારના `જૈસે થે' એમ જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ભાજપે તેના સમ્રાટ ચૌધરી અને ઓબીસી નેતા કુશવાહાનું સમર્થન કરીને સામાજિક સમતુલા જાળવી રાખી છે. કુલ 26 કૅબિનેટ પ્રધાનોએ શપથ લીધા, જેમાંથી 14 ભાજપના, આઠ જેડી (યુ)ના, બે લોકજનશક્તિ પાર્ટીના તથા જીતનરામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા તથા રાષ્ટ્રીય લોક મોરચાના એક - એક વિધાનસભ્યનો સમાવેશ થાય છે. ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નડ્ડાની હાજરી શક્તિ પ્રદર્શન નહીં પણ એનડીએની એકતાનું પ્રતિબિંબ પાડતી હતી. શપથવિધિ પૂરો થયા બાદ વડા પ્રધાન મોદીએ બિહારી શૈલીમાં ગમછો હવામાં ઘુમાવ્યો, જે તેમણે પરિણામના દિવસે એનડીએના વિજય બાદ પણ કર્યું હતું. શપથ લેનારાઓમાં એક મુસ્લિમ અને ત્રણ મહિલાઓનો સમાવેશ છે. મહિલાઓએ મોટા પ્રમાણમાં કરેલા મતદાનની નોંધ લેતા આ પગલું લેવાયું છે. કૉમનવેલ્થ ગેમ્સમાં રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રેયસી સિંહ, નાયબ મુખ્ય પ્રધાન માટે જેમનું નામ ચર્ચામાં હતું એ રમા નિશાદ તથા પૂર્ણિયાથી છ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા જનતા દળનાં લેશી સિંહને કૅબિનેટમાં સ્થાન મળ્યું છે. સાથે જ પહેલીવાર ચૂંટાયેલા ત્રણ વિધાનસભ્યોએ પણ શપથ લીધા. જાતિ સમીકરણનું સંતુલન પણ રખાયું છે. દલિત સમુદાયમાંથી પાંચ, ચાર વૈશ્ય, ચાર રાજપૂત, ત્રણ કુશવાહા, નીતિશ કુમારની જાતિ કુર્મીના એક તથા ભૂમિહાર, નિષાદ અને યાદવ સમાજના બે-બે તથા બ્રાહ્મણ, કાયસ્થ અને મુસ્લિમ સમુદાયના એક-એક વિધાનસભ્યને મંત્રીપદ અપાયું છે, સબ કા સાથ સબ કા વિકાસ ચરિતાર્થ થાય છે.
નીતિશ કુમારે
આજે દસમી વખત બિહારના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા છે ત્યારે એમની રાજકીય કારકિર્દીનો
ઇતિહાસ તાજો થાય છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન તેજસ્વી યાદવ વારંવાર ભાજપને પૂછતા હતા
કે એનડીએ પાસે મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર કોણ છે? આખરે ભાજપે જાહેર કર્યું નીતિશ કુમારનું
નામ. પણ એટલું જ કહ્યું કે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ મેદાનમાં છે અને એમનું
નેતૃત્વ ચૂંટણી પછી પણ હશે. તેજસ્વી યાદવે તો માત્ર ઉમેદવારનું નામ પૂછયું - કારણ કે
એમને આશા હતી કે ભાજપ નામ બહાર પાડશે નહીં, પરિણામ પછી નક્કી થશે એમ કહેશે! જો નામ
બહાર પડે નહીં તો તેજસ્વીને ફાયદો થાય. એમણે તો શપથવિધિની તારીખ પણ જાહેર કરી હતી!
તેજસ્વીથી બે ડગલાં આગળ એમના પિતા લાલુપ્રસાદ હતા - જેમણે વર્ષ 2005માં જાહેરાત કરી
અથવા આગાહી કરી હતી કે નીતિશના નસીબમાં જ મુખ્ય પ્રધાનપદ નથી! અને નીતિશ કુમારનું નસીબ
- ભાગ્ય કેવું પલટાયું? વિરોધીઓ એમને પલટુરામ કહેતા હતા પણ એમણે સુશાસન બાબુ બનીને
નસીબ જ પલટી નાખ્યું!
વર્ષ 2005માં
બિહાર વિધાનસભાની સભ્ય સંખ્યા 325 હતી. ઝારખંડનું અલગ રાજ્ય થયા પછી 243 છે. 2005ની
ચૂંટણીમાં નીતિશે ભાજપ સાથે સમજૂતી કરી તે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને આભારી છે.
આ બન્નેની જોડીએ લાલુ યાદવનાં વીસ વર્ષના જંગલરાજના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને અરુણ
જેટલીના આગ્રહથી નીતિશને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. આ જાહેરાત
પછી વોટ - બેઠકો વધુ મળી, પણ સ્પષ્ટ બહુમતી મળી નહીં. લાલુ યાદવના આરજેડીને 75, નીતિશના
જનતા દળ (યુનાઇટેડ)ને પંચાવન અને ભાજપને 37, રામવિલાસ પાસવાનના લોકજનશક્તિ પક્ષને
29 બેઠકો મળી હતી.
ત્રિશંકુ વિધાનસભા
હોવાથી રાજ્યપાલ બૂટાસિંહ - જે કૉંગ્રેસના સિનિયર નેતા હતા એમણે કેન્દ્ર સરકારને અહેવાલ
મોકલ્યો - એક વખત નહીં ત્રણ ત્રણ વખત સુધારિત અહેવાલ મોકલ્યા, કારણ કે રાજકારણ પ્રવાહી
હતું. રામવિલાસ પાસવાને કહ્યું કે એમના 29 સભ્યો આરજેડી કે ભાજપને સમર્થન નહીં આપે.
અન્ય સભ્યો પણ રામવિલાસની `ના'માં જોડાયા. આ સ્થિતિમાં વિધાનસભા સસ્પેન્ડ - મૂર્છિત
કરવાની રાજ્યપાલની ભલામણ હતી. પણ ભાજપ અને નીતિશ કુમાર લોકજનશક્તિના સભ્યોનું સમર્થન
મેળવી લેશે અને કૉંગ્રેસમાં પણ ભંગાણ પડે એવા સંજોગ હતા. આમ થાય તો લોકતંત્રમાં લોકોને
છેહ દીધો ગણાશે એમ કહીને રાજ્યપાલે ફરીથી નવેસરથી ચૂંટણી જ કરવાની ભલામણ કરી અને કેન્દ્રમાં
ડૉ. મનમોહન સિંઘની કૉંગ્રેસે આ ભલામણ સ્વીકારીને વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય
લીધો. રાષ્ટ્રપતિ ડૉ. કલામ સાહેબ મૉસ્કોની યાત્રાએ હતા અને રાષ્ટ્રપતિ શાસન જાહેર થયું.
સંસદમાં ધમાલ થઈ ત્યારે લાલુપ્રસાદે કહ્યું - મુખ્ય પ્રધાનપદ નીતિશ કે નસીબમેં હી નહીં
હૈ!
પણ નવેસરથી ચૂંટણી
જાહેર થાય તેના દસ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ શાસન ગેર-બંધારણીય ગણાવ્યું.
પછી ચૂંટણીમાં બિહારની જનતાએ એનડીએને બહુમતી આપી. નીતિશને પંચાવનથી વધીને 88 બેઠકો
મળી. ભાજપને 37થી વધીને પંચાવન મળી અને આરજેડી 75થી ઘટીને 54 થઈ. નીતિશ કુમાર મુખ્ય
પ્રધાન બન્યા અને આજ સુધી રહ્યા છે! વીસ વર્ષમાં દસમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લીધા
છે.