મુંબઈને સાવધાનનો સંદેશ
વડા પ્રધાન નરેન્દ્ર
મોદી અર્થતંત્રના સુધારા સાથે જનજીવન સુધારા ઉપર હંમેશાં ભાર મૂકે છે. સ્વચ્છ ભારત
અને જળ-જીવન મિશન-અભિયાન અમલમાં છે. નલ સે જલ - પીવાનું પાણી દરેક ઘર સુધી પહોંચાડવાનું
ધ્યેય છે, પણ ઇન્દોરમાં સુધરાઈના અસ્વચ્છ - વિષાણુયુક્ત પાણીની મોટી દુર્ઘટના સમગ્ર
દેશ માટે શરમજનક છે - એક કલંક છે! રાજધાની નવી દિલ્હીમાં હવામાનના પ્રદૂષણે હાહાકાર
મચાવ્યો છે અને સૌનું ધ્યાન પર્યાવરણ ઉપર કેન્દ્રિત છે, પણ જનજીવન માટે હવા સાથે પાણી
પણ અનિવાર્ય છે. જળ-જીવન છે છતાં જળ-મરણનું કારણ - નિમિત્ત બની જાય તે આઘાતજનક છે.
ભારતનાં શ્રેષ્ઠ - સ્વચ્છ શહેરનું બિરુદ વર્ષોથી ભોગવતા ઇન્દોર જ નહીં સમસ્ત દેશ ઉપર
આ આઘાત છે અને તે કુદરતનો કોપ નથી, માનવસર્જિત છે. અપરાધી બેદરકારી છે. પાણીની પાઇપલાઇન
જૂની, તૂટેલી હોવા છતાં સુધરાઈએ દરકાર કરી નહીં. સ્થાનિક રહેવાસીઓ દુર્ગંધયુક્ત પાણીની
ફરિયાદ બે મહિનાથી કરી રહ્યા હતા, પણ સત્તાધીશ સુધરાઈના સભ્યો અને કર્મચારીઓએ પરવા
કરી નહીં.
હવે કારણોની તપાસ કરવાની જરૂર નથી. કારણો સ્પષ્ટ છે. પાઇપલાઇનો બદલવાની જાહેરાત થઈ હોવા છતાં કોઈને ઉતાવળ કે ચિંતા નહોતી. માત્ર કર્મચારીઓ જ નહીં, ઉપરી અધિકારીઓ અને સુધરાઈના સભ્ય પણ જવાબદાર છે. જન-જીવન સાથે આ ખિલવાડ થયો છે તેથી તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ થાય અથવા બદલવામાં આવે અને જવાબદાર નેતાઓને પણ રુખસદ આપવામાં આવે - દાખલારૂપ સજા થાય તે જરૂરી છે.
ઇન્દોરની દુર્ઘટના પહેલાં - નવેમ્બર મહિનામાં જ ભોપાલ નજીકની વેલ્લોર ઇન્સ્ટિટયૂટ અૉફ ટેક્નૉલૉજીના પરિસરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ થઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ કમળાનો ભોગ બન્યા ત્યારે હો-હા થઈ હતી પણ સત્તાધીશોના કાને અવાજ પહોંચ્યો નહીં. ઇન્દોરમાં ભાજપનું શાસન છે અને એવી વાત પણ બહાર આવી છે કે સમાજવિરોધી તત્ત્વોએ પાઇપલાઇનની ભાંગફોડ કરી છે. તપાસમાં જો આ વાત સાબિત થાય તો તે વધુ ગંભીર છે. રાજકીય પક્ષોની સત્તાખોરીમાં જનતાના જીવ જોખમમાં મુકાય અથવા ગુમાવાય તે લોકતંત્ર નથી.
ઇન્દોરની દુર્ઘટના
પછી મહાનગર મુંબઈ જેવાં શહેરોએ સક્રિય બનવાની જરૂર છે. મુંબઈ માટે આ `ચેતવણી' છે. મોદી
સરકાર બ્રિટિશકાળના જૂના-પુરાણા કાયદા રદ કરે છે તેવી રીતે જૂની-પુરાણી પાઇપલાઇનો અને
ગટરની પાઇપો પણ બદલવી જોઇએ. ફરિયાદ આવે અને રોગચાળો ફેલાય ત્યાં સુધી રાહ જોવાય નહીં.
નેતાઓ સુધરાઈની સત્તા મેળવવા તલપાપડ છે ત્યારે આ વિષય પણ ચૂંટણીની ચર્ચાના કેન્દ્રમાં
આવવો જોઇએ.