• શનિવાર, 19 એપ્રિલ, 2025

બાંગ્લાદેશને સબક

ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સ-શિપમેન્ટ - ભારતનાં બંદરો અને વિમાની મથકો દ્વારા ત્રીજા દેશો સુધી માલ પહોંચાડવાની સુવિધા સમાપ્ત કરી તે ફક્ત આર્થિક નીતિ નથી, પણ તેમાં રાજકીય અને કૂટનીતિક સંદેશ પણ છે. ભારત અને બાંગ્લાદેશ ચાર હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી સરહદ ધરાવે છે. બન્ને વચ્ચે ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પણ રહ્યા છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર છે. પરંતુ બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના બહાને શેખ હસીના સરકારના તખતાપલટ પછી વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના શાસને ભારતની ચિંતા વધારી છે, બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાસ લાવવામાં કોઈ કસર નથી છોડી. પાકિસ્તાનીઓ માટે વિઝા નિયમોમાં રાહત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધા વ્યાપારની શરૂઆત ઉપરાંત, પોતાની ચીન મુલાકાત દરમિયાન યુનુસ દ્વારા ભારતનાં પૂર્વોત્તર રાજ્યોનો વિવાદ છેડતા ચીનને આ ક્ષેત્રમાં આર્થિક વિસ્તારનું આમંત્રણ આપવાનો તેમનો મનસૂબો જ જાહેર કરે છે. આટલું ઓછું હોય એમ ગયા મહિને થાઈલૅન્ડમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત પછી યુનુસના મીડિયા સલાહકારોએ બન્ને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણાને અયોગ્ય રીતે પ્રસ્તુત કરી હતી અને ભારતે આકરા પ્રત્યાઘાત આપ્યા હતા. `પડોશી પ્રથમ'ની નીતિના પગલે ભારતે પાકિસ્તાન સિવાયના બીજા પડોશી દેશો સાથે હંમેશાં એક વરિષ્ઠ પડોશી જેવા સંબંધો રાખવાના પ્રયાસ કર્યા છે. 

ભારત વિદેશના ખાતાએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટની સુવિધાથી ભારતનાં બંદરો અને વિમાની મથકોએ આ વ્યવસ્થા વધવાની સાથે ભારતીય નિકાસમાં વિલંબ થાય છે. હવે બાંગ્લાદેશને નક્કી મોટો આંચકો લાગ્યો છે. કારણ કે હવે તેણે પોતાના માલની નિકાસ માટે વૈકલ્પિક માર્ગો શોધવા પડશે, જે સમય અને પૈસાની દૃષ્ટિથી મોંઘા સાબિત થશે.

બાંગ્લાદેશનો કપડાં વત્ર ઉદ્યોગ તેના અર્થતંત્રનો આધાર છે, તેની નિકાસને અસર પહોંચી શકે છે. ભારતે સુનિશ્ચિત કર્યું છે કે નેપાળ અને ભુતાનને બાંગ્લાદેશની નિકાસ પર કોઈ અસર ન પડે. આમ ક્ષેત્રીય જવાબદારીઓ પ્રતિ ભારતે પોતાની પ્રતિબદ્ધતા દાખવી છે. આ બાંગ્લાદેશ માટે એક સબક તો છે જ, આનાથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાનાં રાષ્ટ્રીય હિતોથી સમજૂતી નહીં કરે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ