• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આતંકવાદી તબીબો

લાલ કિલ્લા પાસે થયેલા બૉમ્બ ધડાકાના સંબંધમાં કેટલાક જવાબ સ્પષ્ટ થયા છે, તો કેટલાક સવાલો વધુ જટિલ બનતા જણાય છે. ઍમોનિયમ નાઇટ્રેટ તથા ઈંધણ તેલનો ઉપયોગ ધડાકા માટે થયો હોવાનું કહેવાય છે અને આરડીએક્સ કે અન્ય કોઈ અદ્યતન વિસ્ફોટકોનો ઉપયોગ થયો નથી એવું કહેવાયું છે. આ ઉપરાંત, ધડાકા માટે વપરાયેલી કારનું વેચાણ એકથી વધુ વખત થયું છે, એ દર્શાવે છે કે આ આતંકવાદી કૃત્ય છે અને સરકારે આ હુમલાના મૂળ સુધી જવાની જવાબદારી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપી છે. જોકે, આ હુમલાની સૌથી ચોંકાવનારી બાબત એટલે ડૉક્ટર જેવા ઉચ્ચ શિક્ષિત અને પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આમાં સંડોવાયેલા છે. એક વાત તો દીવા જેવી સાફ છે કે કોઈ મોટા હુમલાને અંજામ આપવાનું આ કાવતરું હતું અને તપાસકર્તાનો અંદેશો છે કે વિવિધ રાજ્યોમાં હાલમાં થયેલી ધરપકડો અને મોટા પ્રમાણમાં મળેલા વિસ્ફોટકો વચ્ચે કનેક્શન છે અને દિલ્હી હુમલાને અંજામ અપનારાઓએ ઉતાવળે કાં તો ગભરાટમાં ધડાકો કર્યો છે. 

જમ્મુ-કાશ્મીર પોલીસને જૈશ-એ-મોહમ્મદ તરફી પોસ્ટરોની તપાસ ફરીદાબાદ અને હરિયાણામાં ડૉક્ટર અને તેની પાસે ઍમોનિયમ નાઇટ્રેટના સાડા ત્રણસો કિલો જથા તરફ દોરી ગઈ. આ ડૉક્ટરે ઉત્તર પ્રદેશના સહારનપુરમાંના વધુ એક ડૉક્ટરનું નામ આપ્યું અને આ બંને તબીબોને ઓળખતા એક ત્રીજા ડૉક્ટર તથા જમ્મુ-કાશ્મીરના રહીશ વિસ્ફોટકોથી ભરેલી કાર ચલાવી રહ્યા હતા. તો આ આખા ષડ્યંત્રનો ભાગ એવી એક મહિલા ડૉક્ટરની પણ ધરપકડ કરી લેવાઈ છે. અહીં પ્રશ્ન થાય કે તબીબી વ્યવસાયમાંના લોકો નિર્દોષોના જીવ લેવા શા માટે તૈયાર થયા હશે? જોકે, આમાં નવું કશું જ નથી, કેમ કે આ પહેલાં વર્ષ 2000માં ઇન્ડિયન મુજાહિદ્દીનની આતંકી લહેરમાં રિયાઝ ભતકલ અને અબ્દુલ શુભાન કુરેશી જેવા એન્જિનિયરોની આગળ પડતી ભૂમિકા હતી. આથી, સન્માનિત વ્યવસાયમાંના લોકોને ધર્મના નામે આતંકમાં દોરી લાવી શકાય છે એમાં આશ્ચર્ય નથી. અૉપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન કંઈક અડપલું તો કરશે જ. વળી, મિલિટરી જનરલ અસીમ મુનિર પાકિસ્તાનના સર્વ સત્તાધીશ બનવાથી એકાદ પગલું દૂર છે ત્યારે ભારતે આ પ્રકારના હુમલાઓ માટે સજ્જ રહેવું પડશે. ભારત જડબાતોડ જવાબ આપવા સમર્થ છે અને ભૂતકાળમાં પાક પ્રેરિત આતંકવાદી હુમલાઓ બાદ આપણી સેનાની પાંખોએ વળતો જવાબ આપ્યો જ છે. વળી, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પણ આ બાબતે ગંભીર છે. આથી આગામી સમયમાં ભારતનો વળતો પ્રહાર પણ જોવા મળશે, એમાં કોઈ શંકા નથી.