બુધવારે સવારે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ જણનો ભોગ લેનાર ગોઝારી વિમાન દુર્ઘટનાએ આવા દુ:ખદ બનાવોની યાદ ફરી તાજી કરાવી દીધી છે. રાબેતા મુજબ નાગરિક ઉડ્ડયન વિભાગે આ બનાવની તપાસના આદેશ આપી દીધા છે, પણ ભૂતકાળમાં બનેલા આવા ગમખ્વાર હવાઈ અકસ્માતોની તપાસ બાદ સરકારનાં જવાબદાર તંત્રોએ તેમાંથી બોધપાઠ લઈને વિમાની સફરને સલામત કરવાનાં પગલાં લેવામાં ધ્યાન આપ્યું ન હોવાની હકીકત સામે આવી રહી છે.
દરેક હવાઈ અકસ્માત વખતે બનતું આવ્યું છે
તે જ રીતે અજિત પવાર અને તેમની સાથેના અન્ય ચાર જણનો ભોગ લેનારી દુર્ઘટનાએ અગાઉના આવા
બનાવોની યાદ ફરી તાજી કરી દીધી છે. ભૂતકાળમાં પણ દેશના સંખ્યાબંધ રાજકીય નેતાઓ ઉપરાંત
વેપાર અને ઉદ્યોગ જગતની હસ્તીઓનાં મોત આવા વિમાની અકસ્માતોમાં થયાં છે. બારામતીના બનાવ અંગે પ્રાથમિક રીતે સત્તાવાર ખુલાસો
કરાયો છે કે આ અકસ્માત થયો તે સમયે રનવે પર વિઝિબિલિટી ઓછી હતી. આવામાં પ્રથમ સવાલ
એ થાય છે કે જો આવી સ્થિતિ હતી તો પછી વિમાનને ઊતરવાની મંજૂરી શા માટે અપાઈ હતી? બીજો
સવાલ તરત થાય છે કે આધુનિક વિમાની ટેક્નૉલૉજીના સમયગાળામાં આવી કોઈપણ સ્થિતિમાં વિમાનને
સલામત રીતે ઉતારી શકાય છે.
આજકાલ દેશમાં ભારે ધુમ્મસને લીધે વિમાની
સેવાઓ સતત ખોરવાતી રહી છે. મહાનગરો અને મહત્ત્વનાં શહેરોમાં આવા વિઝિબિલિટીના પ્રશ્નને
ઉકેલવા વિમાનમથકે ખાસ ટેક્નૉલૉજી સાથેનાં સાધન લગાવાયાં છે. આ સાધન વિમાનની સાથેની
ટેક્નૉલૉજીની સાથે સમન્વય કરી તે ધુમ્મસમાં ઊતરવાનો માર્ગ મોકળો કરી આપે છે. આ માટે
પાઇલટને પણ ખાસ પ્રકારની તાલીમથી સજ્જ કરાય છે.
ઉલ્લેખનીય છે કે છેક 1980માં કૉંગ્રેસના
નેતા સંજય ગાંધીનું દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. તે પછી 2001માં માધવરાવ
સિંધિયા, અરુણાચલ પ્રદેશના માજી મુખ્ય પ્રદાન દોરજી ખાંડુ, 2001માં તે સમયનાં લશ્કરી
દળોના વડા જનરલ બિપિન રાવત અને ગયા વર્ષે ગુજરાતના માજી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને
આપણે હવાઈ દુર્ઘટનામાં ગુમાવ્યા હતા.
આમ નાનાં કે મોટાં વિમાનમાં હવાઈ સફર સલામત
ન હોવાના પ્રસંગોની યાદી લંબાતી રહી છે. દુનિયામાં વિમાન અકસ્માતો - તેમાં પણ ખાસ કરીને
નાનાં વિમાનો તૂટી પડવાના બનાવ સતત સામે આવતા રહે છે. આજે હવાઈ સફર સમયની બચતનો પર્યાય
બની રહી છે, ત્યારે વિશ્વની સાથોસાથ ઘરઆંગણે ભારતમાં આ સફરને સલામત કરવા પર સુઆયોજિત
રીતે પગલાં લેવાની જરૂરત સતત વર્તાઈ રહી છે. અજિત પવારના વિમાનને નડેલા અકસ્માતની તપાસમાં
જે કોઈ કારણ સામે આવે, પણ તેનું પુનરાવર્તન ન થાય તેના પર ખાસ ખ્યાલ રાખવાનો સમય પાકી
ગયો છે. આમ નહીં થાય તો બીજા આવા દરેક અકસ્માત
સમયે આવી જરૂરત સામે આવતી રહેશે.