• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ભાડૂતોને ઘરની આસપાસ વસાવવાનો પાલિકા પ્રયત્ન કરશે : સહાયક આયુક્ત  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 6 : કેટલાક ભાડૂતો પોતાનો વિસ્તાર છોડીને જવા ઈચ્છુક નહીં હોવાથી તેઓ જોખમી ઈમારત ખાલી કરતા નથી. તેથી મુંબઈ પાલિકા તે પ્રકારના ભાડૂતોને તેમના ઘરની આસપાસ વસાવવા પ્રયત્ન કરશે, એમ `સી' વૉર્ડના સહાયક આયુક્ત ઉદ્ધવ બાપુ ચંદનશિવેએ જણાવ્યું છે.

ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કાપડના વેપારીઓને સંબોધતાં ચંદનશિવેએ જણાવ્યું હતું કે હાઉસ ગલીઓ ઘણી સાંકડી હોવાથી તેને રોજ સાફ કરવી મુશ્કેલ છે. જે ઈમારતોમાં સોનાના દાગીના બનાવવાનાં કારખાનાં છે ત્યાં હાઉસ ગલીઓને ભાડે અપાતી હોવાથી તેને ભાડે અપાય છે. તેથી તેની સાફસફાઈ કરવામાં મુશ્કેલી નડે છે. કાલબાદેવીમાં પીવાનાં પાણીની પાઈપલાઈન દાયકાઓ પહેલાં નાખવામાં આવી હોવાથી તે કેટલીક જગ્યાએ ખરાબ થઈ ગઈ છે. તેનું પૂર્ણપણે સમારકામ કરવાના પ્રયત્નો ચાલુ છે.

કોઈ પણ વેપારી જ્યારે પોતાની કચેરી રિનોવેટ કરવાનું કામ શરૂ કરે પાલિકાના અધિકારી આવીને કામ અટકાવી દે છે. તે અંગે ચંદનશિવેએ જણાવ્યું હતું કે જ્યારે લેખિત ફરિયાદ અથવા આરટીઆઈ કરવામાં આવે ત્યારે જ અધિકારી આવતા હોય છે. જો અધિકારી ખોટી રીતે હેરાન કરે તો તેની ફરિયાદ મારી કચેરીમાં આવીને અથવા `ચેમ્બર' દ્વારા કરવી. તેથી તે અંગે કાર્યવાહી કરવામાં આવશે, એમ ચંદનશિવેએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ચંદનશિવે અને એડ્વૉકેટ રાકેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રામપ્રકાશ પોદ્દાર ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી નિલેશ વૈશ્ય, અજય સિંઘાણિયા, ટ્રસ્ટી રાજીવ સિંઘલ, યોગેન્દ્ર રાજપુરિયા, પ્રકાશ કેડિયા, મનોજ જાલાન, પ્રદીપ જૈન, દીપક શાહ, વિષ્ણુ કેડિયા, મહેન્દ્ર સોનાવત અને રમણ ગુપ્તાએ ચર્ચામાં ભાગ લીધો હતો.