હરિયાણામાં બે પોલીસ અધિકારીએ કરેલી આત્મહત્યા અને તેની પાછળનાં કારણોની સર્વત્ર ચર્ચા છે. પોલીસ અને અન્ય વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓનું આંતરિક રાજકારણ, સમાજને રક્ષતા એક મોટા વર્ગમાં પણ ઊંચ-નીચના ભેદભાવ, જાતિય હનન જેવાં તત્ત્વો કેટલી હદે વકરેલાં છે કે આવા પદ પર રહેલા લોકોએ પણ આખરી માર્ગ અપનાવવો પડી રહ્યો છે. એક પછી એક બે પોલીસ અધિકારીઓની આત્મહત્યાથી ફક્ત પોલીસ બેડાંમાં જ નહીં સમગ્ર પ્રશાસનમાં હલચલ છે.
હરિયાણામાં ફરજ બજાવતા આઈપીએસ વાય. પૂરનકુમારે ચંડીગઢસ્થિત
પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસ કૉન્સ્ટેબલ કે
એ સ્તરે આવું પગલું ભરાયું હોવાના કિસ્સા બન્યા છે, પરંતુ આટલા ઉચ્ચ સ્તરે તો માનસિક
રીતે પણ અધિકારી સ્થિર હોય, તેમને તણાવને ભરી પીવાની તાલીમ આપવામાં આવી હોય છે. આ અધિકારીને
કેટલી માનસિક વિડંબના હશે કે તેઓએ આ માર્ગ લીધો. એડીએજી અર્થાત્ સહાયક પોલીસ મહાનિદેશકના
પદ ઉપર રહેલા આ અધિકારીએ આત્મહત્યા પૂર્વે જે સ્યુસાઈડ નોટ લખી છે તેમાં પોલીસ પ્રશાસનની
અને પરોક્ષ રીતે સરકારની પોલ છતી થાય છે. આ અંતિમ નોંધમાં તેમણે રાજ્યના ડીજીપી શત્રુજિત
કપૂર સહિત કુલ 13 અધિકારીનાં નામ સ્પષ્ટ લખ્યાં છે. પહેલા તો પોલીસે ફર્સ્ટ ઈન્ફર્મેશન
રિપોર્ટ નોંધવાનો ઈનકાર કર્યો હતો. આખરે સરકારે ડીજીપીને રજા ઉપર ઉતારી દીધા અને તપાસ
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે. જેમના શિરે પીડિતોને ન્યાય અપાવવાની જવાબદારી
છે તેમના પરિવારજનને ન્યાય માટે પ્રતીક્ષા કરવી પડે તે તો કેવું કહેવાય. જોકે, આખરે
તે પણ સરકાર કરાવી શકી. આ કિસ્સો હજી તો માધ્યમો થકી દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યાં
જ એએસઆઈ સંદીપ કુમારે પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી, એક વીડિયો થકી સંદેશો
વાયરલ કર્યો અને સ્યુસાઈડ નોટ પણ લખી જેમાં પૂરનકુમાર સામે ગંભીર આક્ષેપો છે. સંદીપ
કુમારે લખ્યું કે, જાતિ આયોગનો સહારો લઈને, ધરપકડથી બચી શકાય તે માટે પૂરનકુમારે ખોટી
સ્યુસાઈડ નોટ આપી હતી.
બે ઉચ્ચ અધિકારીની આત્મહત્યા સામાન્ય બાબત નથી. તેમાં પણ
બન્ને કિસ્સામાં સામસામે થઈ રહેલા દાવામાં સંપૂર્ણ વિરોધાભાસ છે. ઈન્દ્રજિતાસિંહ રાવનું
નામ અહીં ઊછળ્યું છે તેથી ખાખીના વિવાદમાં રાજકીય રંગ પણ ઉમેરાયો છે. રાહુલ ગાંધી સદ્ગત
પૂરનકુમારનાં પત્નીને મળ્યા છે, ન્યાયની માગણી કરે છે. કોઈપણ વિપક્ષ આવી સ્થિતિમાંથી
કોઈ તક શોધે તે ન ગમે તેવી વાસ્તવિકતા છે.