સત્તાવાર રીતે તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાં રાજ્ય અને દેશના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ રોજ ડોકિયું કરી જાય છે. સામાન્યપણે જૂનના પહેલા અઠવાડિયે શરૂ થતું ચોમાસું આ વખતે મે મહિનામાં જ બેસી ગયું અને દિવાળી પતી ગઈ છતાં વણગમતા મહેમાનની જેમ વરસાદ જવાનું નામ લઈ રહ્યો નથી. અરબી સમુદ્રમાં નિર્માણ થયેલો ઓછા દબાણનો પટ્ટો, અરબી સમુદ્રના મધ્ય પૂર્વથી મધ્યપ્રદેશના પશ્ચિમ સુધી સર્જાયેલી વાદળોની સ્થિતિ અને બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના પટ્ટાનું વાવાઝોડામાં થયેલું રૂપાંતર, ચોમાસા બાદ પણ વરસી રહેલા વરસાદનાં મુખ્ય કારણો છે. અૉક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆત સુધી મુંબઈ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોંકણપટ્ટીમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આ ઓછું હોય તેમ આંધ્ર પ્રદેશ અને ઓડિશા જેવાં તટીય રાજ્યોમાં મોંથા વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રના ખેડૂતોને મોસમ બાદના આ વરસાદનો માર સહેવાનો આવ્યો છે, તો મૉન્સૂનના બદલાતા મિજાજે દેશનાં ઉત્તરનાં રાજ્યોમાં પણ ખાનાખરાબી સર્જી છે.
છેલ્લાં
થોડાંક વર્ષોમાં મૉન્સૂનનું સ્વરૂપ બદલાયું છે અને તેના માટે નિષ્ણાતો એકીકંઠે
ક્લાયમેટ ચૅન્જને જવાબદાર ઠેરવી રહ્યા છે. અનિયમિત વરસાદથી લઈને દુકાળ-પૂર અને
વાવાઝોડાં, ટૂંકા ગાળામાં વરસતો જોરદાર વરસાદ અને વાદળ ફાટવાં જેવી
ઘટનાઓ સામાન્ય થતી જોવા મળે છે. મહારાષ્ટ્રના ખેડૂતોને વરસાદના આ બદલાતા મિજાજનો
માર સૌથી વધુ પડ્યો છે. વિકાસના નામે અંધાધૂંધ થતાં બાંધકામે ઉત્તરાખંડ અને
હિમાલયમાં વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર અને વિરોધી પક્ષો વચ્ચે
લીલા દુકાળની જાહેરાત અને ખેડૂતોને જાહેર કરાયેલી મદદ મુદ્દે રાજરમત ચાલી રહી છે.
આવામાં, દુર્ઘટનાઓ પછી રાહતકાર્યો અને મદદની સરવાણી વહેતી
હોવાનું પણ ચિત્ર જોવા મળે છે, પણ આવી ઘટનાઓ
અટકાવવાની દિશામાં આવશ્યક પગલાં લેવાનું ચૂકાઈ જાય છે. કુદરતી આપદાઓ રોકી શકાતી
નથી, પણ પ્રતિબંધક ઉપાયો-ઉકેલો પર ધ્યાન અપાય તો તેના પ્રભાવની
તીવ્રતા ચોક્કસપણે ઘટાડી શકાય છે અને અત્યારે એની જ તાતી જરૂર છે. આ સાથે ક્લાયમેટ
ચૅન્જની અસર ઓછી કરવાની દિશામાં સંશોધન પર ભાર આપવાનો તથા શહેરોમાં પૂર જેવી
સ્થિતિ ટાળવા માટે શું કરવું જોઈએ એ અંગે પણ વિચાર થવો જોઈએ.