• રવિવાર, 02 નવેમ્બર, 2025

બાંગ્લાદેશના રાષ્ટ્રગીત માટે કૉંગ્રેસનો પ્રેમ

કૉંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીની જેમ બફાટ કરવા સ્પર્ધામાં ઉતર્યા છે. હાલમાં જ દક્ષિણ આસામની બારાક ખીણના શ્રીભૂમિ જિલ્લાના કૉંગ્રેસ સેવા દળના એક કાર્યકર્તા બિધુ ભૂષણ દાસે એક બેઠકમાં કથિતપણે પાડોશી દેશ બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન આમાર સોનાર બાંગ્લા, આમી તોમાય ભાલોબાસી ગાઈ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે વિરોધ કરતાં આખો મામલો ગરમાયો છે. રાષ્ટ્રગીત વંદે માતરમ્ નહીં ગાઈએ એવું છાતી કાઢીને કહેનારાઓ પણ કૉંગ્રેસી નેતાએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન ગાયું એમાં કશું જ અજુગતું નથી, એવી દલીલો કરે છે. કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, શ્રીભૂમિમાં કૉંગ્રેસના નેતાએ ગાયું એ પાડોશી દેશનું રાષ્ટ્રગાન નહોતું રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્ર સંગીત હતું.

1905માં બ્રિટિશરોએ બંગાળના ભાગલા પાડ્યા એ વખતે રવીન્દ્રનાથ ટાગોરે આમાર સોનાર બાંગ્લા ગીત લખ્યું હતું, જે 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બાંગ્લાદેશ બન્યું ત્યારે તેનો સ્વીકાર રાષ્ટ્રગાન તરીકે કર્યો હતો. ગત સોમવારે આસામમાં કૉંગ્રેસ સેવા દળની બેઠકમાં આ ગીત ગવાયું એનો વિરોધ કરતા ભાજપે ટીકા કરી છે કે, કૉંગ્રેસમાં બધું જ વિચિત્ર છે. ક્યાં અને ક્યારે શું ગાવું જોઈએ એનું પણ તેમના નેતાઓને ભાન નથી. કૉંગ્રેસે દેખીતી રીતે જ પોતાના નેતાનો બચાવ કરતા કહ્યું છે કે, ભાજપ દ્વારા થઈ રહેલી ટીકા રાજકારણથી પ્રેરિત છે અને તેમનો આશય તોડીમરોડીને માત્ર વિવાદ ઊભો કરવાનો છે. તો, કેટલાક લોકોની દલીલ છે કે, વહીવટી સહુલિયતનું કારણ આગળ કરી બ્રિટિશરોએ 1905માં બંગાળના ભાગલા કર્યા એનો વિરોધ કરવા ટાગોરે આ ગીત લખ્યું હતું. બંગાળના ભાગલાના વિરોધમાં ફાટી નીકળેલા લોક જુવાળને પગલે બ્રિટિશરોને આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. આ ગીત લખાયું એના સાડા છ દાયકા બાદ બાંગ્લાદેશની સ્થાપના થઈ ત્યારે આ ગીતને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. આ ગીતમાં ટાગોરે બંગાળના પ્રાકૃતિક સૌંદર્યના વખાણ કર્યા છે અને આ ભૂમિ સાથે બંગાળીઓ જે ઊંડાણભરી લાગણી ધરાવે છે, એના વિશેનો ઉલ્લેખ આવે છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને જગ્યાએ આ ગીત એટલા જ પ્રેમથી ગવાય છે, આથી કૉંગ્રેસના નેતાએ આ ગીત ગાયું એમાં હોબાળો મચાવવા જેવું શું છે? આ લોકો એ ભૂલી જાય છે કે, કૉંગ્રેસના નેતાઓએ વંદે માતરમ્ રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત નથી, એવો અભિગમ લીધો હતો. યાદ રહે, દેશની સ્વતંત્રતા ચળવળ વખતે વંદે માતરમ્ના નારાએ દેશને એક કરવાનું કામ કર્યું હતું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1875માં આવેલી નવલકથા આનંદમઠમાંના વંદે માતરમ્ મૂળ ગીતમાં પાંચ કડીઓ હતી, પણ કૉંગ્રેસે પહેલી બે કડીઓ જ સ્વીકારી. માતૃભૂમિને વંદન કરવાની ભાવના વ્યક્ત કરતા આ ગીતથી ધાર્મિક લાગણી દુભાતી હોય તો એનું સમર્થન કરનાર કૉંગ્રેસને અન્ય દેશના રાષ્ટ્રગાન માટે એકાએક પ્રેમ ઉમટે એ વિચિત્ર જ કહી શકાય, ખાસ કરીને આસામ જેવા સીમાવર્તી રાજ્યમાં જ્યાં બાંગ્લાદેશમાંથી બેફામ ઘૂસણખોરી થાય છે.