મુંબઈ, તા. 29 : આઈઆઈટી બૉમ્બે સંસ્થા દ્વારા કથિત રીતે ખાણી-પીણીમાં થઈ રહેલા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યાના બે મહિના બાદ મેસ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ત્રણ હૉસ્ટેલની કોમન કૅન્ટીનમાં છ ટેબલ ફક્ત શાકાહારી વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવામાં આવશે. આ નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે. જો કોઈ તેનું ઉલ્લંધન કરશે તો મેસ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
મેસ કાઉન્સિલ દ્વારા હૉસ્ટેલ 12, 13 અને 14ના વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં આ નવા નિયમ અંગે માહિતી આપવામાં આવી હતી. કેટલાક લોકોને જમતી વખતે નોન-વેજ વાનગીઓની ગંધ પસંદ હોતી નથી. આ વર્ષે જુલાઈ મહિનામાં સંસ્થાના હૉસ્ટેલ 12ની કૅન્ટીનની દીવાલ પર ફક્ત શાકાહારીઓને બેસવાની અનુમતિ હોવાનાં પોસ્ટર લગાવતાં વિવાદ વકર્યો હતો. હૉસ્ટેલમાં રહેતા પ્રત્યેક વિદ્યાર્થીને આરામદાયક સુવિધા અને સારું ભોજન મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંસ્થામાં સકારાત્મક વાતાવરણને જાળવી રાખવા માટે શાકાહારી વિદ્યાર્થીઓ માટે છ ટેબલ આરક્ષિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવું સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું.