• સોમવાર, 06 મે, 2024

સુરત : કૉંગ્રેસની નામોશી

સુરત શહેર લોકસભા બેઠક પર ફૉર્મ ચકાસણીથી લઈને છેલ્લે જિલ્લા કલેક્ટરે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. અપક્ષ તેમ `અન્ય' પક્ષો મળીને આઠ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ સુરત બેઠક અને ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ વિજેતા સાંસદ બન્યા છે.

સુરત શહેર લોકસભા બેઠક પરથી કૉંગ્રેસે નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ચાર ટેકેદારોનાં ફૉર્મ ભરાવ્યાં હતાં, પણ ભાજપના ચૂંટણી એજન્ટે કુંભાણીના ફૉર્મ પર પ્રસ્તાવકર્તાની સહીઓ નકલી હોવાનું કહી વાંધો ઉઠાવ્યો હતો. તો કુંભાણીની દરખાસ્ત કરનારા તેમનાં સગાં, મિત્રો હોવા છતાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને ફૉર્મમાં તેમની સહી નથી તેવી એફિડેવિટ કરી હતી. ડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી હોવાનું કહેતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ચૂંટણી પંચે કૉંગ્રસના ઉમેદવારને નોટિસ આપી બોલાવ્યા પણ તેઓ આવ્યા નહીં.

કૉંગ્રેસે તેઓનું અપહરણ થઈ ગયાનો આક્ષેપ કર્યો છે. મુકેશ દલાલના બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સુરતમાં સરમુખત્યારની  અસલી સૂરત સામે આવી છે. પગલું પ્રજા પાસેથી તેમનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છીનવી લેવાનું પગલું છે. કૉંગ્રેસે વિજયની સરખામણી સરમુખત્યારી સાથે કરી છે.

દરમિયાન, કૉંગ્રેસના કુંભાણીનું ઉમેદવારીપત્રક રદ થયા પછી તેમની વિરુદ્ધ સત્તાપક્ષ સાથે મળી જવાના આક્ષેપો કૉંગ્રેસમાંથી થઈ રહ્યા છે. સમગ્ર પ્રકરણ કૉંગ્રેસમાં કેવી ગેરવ્યવસ્થા છે તેનો બોલતો પુરાવો છે. લોકસભા જેવી મહત્ત્વની ચૂંટણી માટે કૉંગ્રેસને સુરતનો ઉમેદવાર તો મળે, પણ તેની પાસે પ્રસ્તાવકર્તા હોય અને તેણે નકલી સહીઓનો સહારો લેવો બતાવે છે કે કૉંગ્રેસ ગુનાહિત માનસ ધરાવતાઓને ચૂંટણીની ટિકિટ ફાળવવામાં કોઈ શરમ નથી અનુભવતી.

મુકેશ દલાલના બિનહરીફ ચૂંટાવાને બંધારણ ખતમ કરવાનું ષડ્યંત્ર કહેનારાઓએ જો તેઓને અન્યાય થયો હોય તો તેઓએ કોર્ટમાં જઈ દાદ માગવી જોઈએ. સુરતની લોકસભાની ચૂંટણી યોજના સામે `સ્ટે' મળે એવાં પગલાં લેવાં જોઈએ. તેઓએ સત્તા પક્ષ વિરુદ્ધ ઝુંબેશ આરંભવી જોઈએ, પણ કૉંગ્રેસે આમાંથી કંઈ કર્યું નથી તેને લઈ ચોરની મા `કોઠીમાં મોઢું સંતાડીને રડે -' એવો ઘાટ થયો છે.

અરુણાચલ પ્રદેશની હાલની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવારોને નિર્વિરોધ ચૂંટાયેલા ઘોષિત કરવામાં આવ્યા છે. 1951થી અત્યાર સુધી થયેલી સંસદીય ચૂંટણીમાં ઓછામાં ઓછા 34 અન્ય ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વાસ્તવમાં રાહુલ ગાંધીના નાના જવાહરલાલ નેહરુ દેશના વડા પ્રધાન હતા ત્યારે સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ જીત હાંસલ કરનારાઓમાં વાય. બી. ચવ્હાણ, ફારુક અબદુલ્લા, હરેકૃષ્ણ મહેતાબ, ટી. ટી. કૃષ્ણમાચારી, પી. . સઈદ અને એસ. સી. જમીર સામેલ હતા. તો શું ત્યારે બંધારણની હત્યા થઈ હતી, રાહુલ ગાંધી આનો જવાબ આપશે?