• શનિવાર, 04 મે, 2024

સંપત્તિનો ``સર્વે'' : કૉંગ્રેસનો છૂપો ઍજન્ડા

દેશભરમાં ખાનગી સંપત્તિની મોજણી - સર્વે કરાવવાનો મુદ્દો કૉંગ્રેસના ઘોષણાપત્રમાં છે અને હવે ચૂંટણી પ્રચારમાં ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. વડા પ્રધાન મોદીએ જાહેરસભાઓમાં કૉંગ્રેસના ``છૂપા ઍજન્ડા''ને જાહેરમાં ખુલ્લો પાડયા પછી કૉંગ્રેસના નેતાઓ બચાવ કરવાના હવાતિયાં મારે છે - ત્યારે રાહુલ ગાંધીના અમેરિકાસ્થિત મિત્ર સામ પિત્રોડાએ સંપત્તિ સર્વેના વિવાદમાં વધારો કરીને કૉંગ્રેસની હાલત કફોડી કરી છે. વડા પ્રધાને કરેલો આક્ષેપ સાચો ઠરે છે.

ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના `સલાહકાર' ગણાતા સામ પિત્રોડા કહે છે કે ``અમેરિકામાં વારસા ટૅક્સ લાગે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને મૃત્યુ થાય છે તો ફક્ત 45 ટકા પોતાનાં બાળકોને આપી શકે છે. પંચાવન ટકા સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. એક રસપ્રદ નિયમ છે. આવા પ્રકારના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. એક નીતિગત મુદ્દો છે. કૉંગ્રેસ પક્ષ એક એવી નીતિ બનાવશે, જેના માધ્યમથી સંપત્તિની વહેંચણી બહેતર થશે.

સામ પિત્રોડાએ સંપત્તિના પુનર્વિતરણ માટે 50 ટકા વારસા ટૅક્સની વકાલત કરી છે. આનો અર્થ થયો કે આપણે આપણી મહેનતથી જે કંઈ પણ કમાઈશું, તેનો અડધો હિસ્સો કૉંગ્રેસ સત્તામાં આવે તો છિનવી લેવામાં આવશે. રાહુલ ગાંધી પણ અગાઉ સંપત્તિનું સર્વેક્ષણ કરી તેની વહેંચણી કરવાની વાત કરી ચૂક્યા છે. માઓવાદી માનસિક્તા છે. 

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલાં સામ પિત્રોડાના નિવેદને કૉંગ્રેસને બૅકફૂટ પર મૂકી દીધી છે. કૉંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘના જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કરવો ઘટે કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવો જોઈએ. હવે પિત્રોડા કહે છે કે સંપત્તિની વહેંચણી સંદર્ભમાં વિચાર-વિમર્શ થવો જોઈએ. સંપત્તિ વહેંચણીનો જે મુદ્દો કૉંગ્રેસ નેતા દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે તેના પર વિવાદ વધી ગયો છે, રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પિત્રોડાના નિવેદનની `ખબર' લેતાં જાહેરસભામાં કહ્યું છે કે કૉંગ્રેસ લોકોનાં મરણ પછી પણ ટૅક્સનો બોજો લાદવા માગે છે. રીતે તમારાં બાળકોને મળનારી સંપત્તિ પર કૉંગ્રેસની નજર છે. હવે જ્યારે વડા પ્રધાન મોદીએ મુદ્દો ઉપસ્થિત કર્યો છે તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કૉંગ્રેસ બૅકફૂટ પર આવી ગઈ છે અને તેઓએ પિત્રોડાના નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવી તેમના નિવેદનથી થનારા નુકસાનને રોકવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સામ પિત્રોડાના નિવેદને દેશની સામે કૉંગ્રેસની મુરાદ સ્પષ્ટ કરી છે.

હવે કૉંગ્રેસ પાસે એક પર્યાય છે કે તે પોતાના ઘોષણાપત્રમાંથી સંપત્તિની વહેંચણીનો મુદ્દો ખેંચી લે અથવા તો સ્વીકાર કરે કે વાસ્તવમાં તેનો ઈરાદો છે. લોકોએ પણ સામ પિત્રોડાના નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ. ભાજપે સામ પિત્રોડાના નિવેદનને લઈ લોકોને જાગૃત કરવા જોઈએ અને ભવિષ્યમાં તોળાતા ભયથી સાબદા બનાવવા જોઈએ.