• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ચૂંટણી સુધારની રાહ

હવે કોઈ મતદાન કેન્દ્ર પર 1200થી વધુ મતદારો નહીં હોય એવો જે નિર્ણય ચૂંટણી પંચે લીધો છે તે લોકતંત્રનાં મૂળિયાં વધુ શક્તિશાળી અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે મતદારોની સુવિધાની દૃષ્ટિએ પણ આવકારપાત્ર છે.

ભારત જેવા વિશાળ અને વિવિધતાપૂર્ણ દેશમાં ચૂંટણી કરાવવી એક ભગીરથ કામ છે. મતદારોની લાંબી કતારો, સીમિત સંસાધન અને સમયનો અભાવ મતદાનની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે, જેનાથી મતદારો હતોત્સાહિત પણ થઈ શકે છે. કોઈ પણ મતદાન કેન્દ્ર પર 1200થી વધુ મતદારો નહીં હોવાનો નિર્ણય દૂરદર્શી છે. ઓછી આવકવાળા લોકો, ખાસ કરીને રોજિંદા શ્રમિકો, રિક્ષાચાલક, ડ્રાઇવર, નાના દુકાનદાર વગેરે જે મતદાન માટે આખા દિવસની પ્રતીક્ષા નથી કરી શકતા, એમના મતાધિકારની રક્ષા કરે છે.

આ નિર્ણયનું એક મહત્ત્વનું પાસું છે કે હવે મતદાન કેન્દ્રોની સંખ્યા વધશે, જેનાથી દૂરદૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને મતદાન કેન્દ્ર પર પહોંચવું સુગમ બનશે. મતદાનની ટકાવારી વધશે અને લોકતંત્રનાં મૂળિયાં ઊંડાં જશે. જોકે, નવાં મતદાન કેન્દ્રોની સ્થાપનામાં સંસાધનોની ઉપલબ્ધતા અને ચૂંટણી કર્મચારીઓની સમયબદ્ધતા અને પારદર્શી રીતથી નિયુક્તિ સંબંધી શાસકીય પડકારો જરૂર હશે.

પદ ગ્રહણ કર્યા પછી એક મહિનાથી જ ઓછા સમયમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દશકાઓના પેન્ડિંગ પડકારોને દૂર કરવા માટે જે નિર્ણાયક પગલાં લેવાનું શરૂ કર્યું છે, તે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, સમાવેશકતા અને દક્ષતા વધારવાની દૃષ્ટિએ મહત્ત્વના સાબિત થઈ શકે છે. ચૂંટણી પંચે 31 માર્ચ પહેલાં ચૂંટણી રજિસ્ટર્ડ અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીઓના સ્તર પર સર્વપક્ષીય બેઠક આયોજિત કરવાનો જે નિર્ણય લીધો છે તેમાં ચૂંટણી વ્યવસ્થાના દરેક સ્તર પર રાજકીય પક્ષો સાથે સીધા સંવાદનો રસ્તો ખૂલશે અને તેમની ચિંતા અને સૂચનોને સાંભળવામાં આવશે.

ચૂંટણી પંચે બધા રાષ્ટ્રીય અને રાજ્ય માન્ય પ્રાપ્ત પક્ષોને 30 એપ્રિલ 2023 સુધી એક કાયદાકીય માળખા અંતર્ગત અધિકૃત રીતે સૂચનો મોકલવા જણાવાયું છે, જે બે કારણોથી મહત્ત્વપૂર્ણ છે. એક, આવું પગલું ચૂંટણી પંચે દશકાઓ પછી પ્રથમ વેળા લીધું છે. બીજું, આ ચૂંટણી પ્રક્રિયાને અધિક સમાવેશી, પારદર્શી અને હિતધારકો પ્રતિ ઉત્તરદાયિત્વ બનાવવાની પ્રતિબદ્ધતા પણ દાખવે છે. એક સમાવેશી અને સશક્ત લોકતંત્રનો પાયો નાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયોથી જ તૈયાર થતો હોય છે. આવામાં આશા રાખવી જોઇએ કે ચૂંટણી પંચના નિર્ણયોથી મતદાન પ્રક્રિયા સરળ બનશે અને મતદારોનો વિશ્વાસ વધશે.