• સોમવાર, 29 એપ્રિલ, 2024

દાઉદી વહોરા સમાજના ધર્મગુરુને મળ્યા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે   

મુંબઈ, તા. 28 : પવિત્ર રમઝાન માસ નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાઉદી વહોરા સમાજના નેતા ધર્મગુરુ સૈયદના અલી કાદર મુફદ્દલ સૈફુદ્દીનની સદ્ભાવના મુલાકાત લીધી હતી. ત્યારે એમણે મુંબઈના વિકાસ અને સામાજિક સુધારાને લઈને ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાન આજે સાંજે દાઉદી વહોરા સમાજના ધર્મગુરુને મળ્યા હતા. એમની વચ્ચે દક્ષિણ મુંબઈના મલબાર હિલમાં આવેલા સૈફી મહલમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. 

મુખ્ય પ્રધાન અને સૈયદના અલી કાદર મુફદ્દલ સૈફુદ્દીન વચ્ચે મદરેસાના આધુનિકીકરણને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. દાઉદી વહોરા સમાજના ધર્મગુરુએ મુખ્ય પ્રધાન દ્વારા છેલ્લાં અઢી વર્ષ દરમિયાન રાજ્યના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. મુખ્ય પ્રધાને પણ શાંતિપ્રિય અને મહેનતુ દાઉદી વહોરા સમાજની પ્રશંસા કરી હતી.