વિધાનસભાની ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બાંગ્લાદેશીઓને સરહદ પાર મોકલવા પગલાં લઈ રહી છે. ગુજરાતમાં પણ શરૂ થયેલું અૉપરેશન ‘ડેલ્ટા હન્ટ’ બંગાળની સરહદનું જ અનુસંધાન છે. ગુજરાતમાં અનધિકૃત રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોને અલગ તારવીને તેમને સ્વદેશ પરત મોકલવા સુધીની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી કાર્યવાહી સામે વ્યક્ત થતાં ટીકા, વિરોધની સંપૂર્ણ અવગણના પ્રશાસને કરવી જ પડે. કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો અગત્યનો છે. ગુજરાત સરકાર આવા ગેરકાયદે વસતા નાગરિકોની સામેની કાર્યવાહી માટે મક્કમ છે. પૂરતી ચકાસણી પણ આ કાર્યવાહી પૂર્વે થઈ રહી છે.
ગુજરાતમાંથી 500થી વધારે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
થઈ છે અને 6200થી વધારે શંકાસ્પદ લોકોની વિગતો એકઠી કરવામાં આવી છે. મહત્ત્વનું તો
એ છે કે, જ્યાં સરહદી વિસ્તાર નથી તેવા રાજકોટમાંથી પણ 31 બાંગ્લાદેશી ઝડપાયા છે. ગુજરાત
પોલીસે મંગળવારે મધરાત્રે વિવિધ શહેરોમાં ત્રાટકીને આ કાર્યવાહી હાથ ધરી હતી. નાગરિકતા
નહીં હોવા છતાં તમામ પુરાવા-દસ્તાવેજ સાથે વર્ષોથી આ લોકો અહીં વસીને વ્યાપાર-ધંધો
કરે છે. પોલીસે તેમને ઝડપીને ઘણી બધી વિગતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરથી
ખ્યાલ આવે કે અત્યાર સુધી કેટલી હદે આ બધું ચાલતું હતું.
જે લોકો ઝડપાયા છે તે લોકોમાં 90 ટકાથી વધારે નાગરિકો
પાસે ભારતનું આધાર કાર્ડ, રૅશન કાર્ડ જેવા પુરાવા મળ્યા છે. પશ્ચિમ બંગાળના સ્થાનિક
એજન્ટોએ તેમને આ પુરાવા મેળવવામાં મદદ કરી હોવાનું પણ ખૂલ્યું છે. અહીંથી કમાયેલા નાણાં
ડિજિટલ ઍપ્સ દ્વારા તેઓ બાંગ્લાદેશમાં મોકલતાં હતાં. દેશની સુરક્ષા માટે આવી રીતે વસતા
લોકો જોખમી છે અને સ્થાનિક પોલીસ કે પછી અન્ય એજન્સી કોઈ કાર્યવાહી કરે તે વિરોધપાત્ર
નથી, પરંતુ તેની સામે કેટલીક બાબતો એવી છે જેના પર હવે ધ્યાન અપાવવું જોઈએ.
પ્રથમ તો આવા નકલી આઈડી પ્રૂફ જ્યાંથી પણ બનતા હોય
તેની પર સીધો સકંજો કસાવવો જોઈએ. બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં આ નાગરિકો કેટલી
સહેલાઈથી ઘૂસી શકતા હશે તેનો આ પુરાવો છે. હવે પછી તે અંગે પણ ચુસ્ત કાર્યવાહી અનિવાર્ય
છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ કાર્યવાહી દરમિયાન આપેલી એક ચેતવણી પણ અગત્યની
છે કે અનધિકૃત રીતે વસતા લોકોને જેઓ આશ્રય આપશે તેની સામે પણ કાર્યવાહી થશે. આ મુદ્દો
મહત્ત્વનો છે. કારણ કે મકાન કે મિલકત ભાડે આપવા માટે આપણે ત્યાં નિયમો છે, પણ પાલન
થતું નથી. વારંવાર આવી બાબતની તપાસ કરવાનું પોલીસ દ્વારા કહેવામાં આવતું હોય છે.
બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા ત્યારે દર વખતની
જેમ મહિલાઓ, બાળકોનું શું? તેવા પ્રશ્નો ઊભા થયા. અલબત્ત, પોલીસે કોઈ અત્યાચાર કે દમન
કર્યા નથી. દસ્તાવેજની ચકાસણી થતી હોય તેમ થાય અને તેમાં જો તે વ્યક્તિ ભારતનો નાગરિક
નથી તેવું સાબિત થાય તો તેની સામે અન્ય કાર્યવાહી પણ કરવી જ પડે. સરકાર આવા લોકોને
બાંગ્લાદેશમાં પરત મોકલવાની કાર્યવાહી પણ કરશે. દેશની સલામતી, આંતર-બાહ્ય સુરક્ષા માટે
આ ઝુંબેશ જરૂરી છે તેની સામે જ્યાં જ્યાં જે જે સ્તરે છીંડાં રહ્યાં હોય તે બૂરવા અને
સંબંધિતો સામે પગલાં ભરવા માટે પણ કાર્યવાહી થવી જોઈએ.