• શનિવાર, 27 જૂન, 2026

વેનેઝુએલામાં વિપદા, ભારત ભેરુની ભૂમિકામાં

વેનેઝુએલામાં વિનાશ વેરાયાના કલાકો પછી પણ કલ્પાંત છે, સ્તબ્ધતા છે. બહુ સ્વાભાવિક રીતે માણસોની આંખમાં આંસુ અને મનમાં સુનકાર છે. ક્ષણવારમાં પ્રલયનો સાક્ષાત્કાર થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતા સાથે ધરતી ફાડીને વિનાશ ત્રાટક્યો અને મોટી ખુવારી થઈ છે. આગાહી તો સુનામીની પણ છે, પરંતુ દુર્ઘટનાના વર્તમાનમાંથી ભવિષ્યનો કોઈ વિચાર કરવાની આ પ્રજાની અત્યારે ક્ષમતા નથી. કુદરતી કે માનવસર્જિત સંકટ સમયે સીધો જ બજાર કે અર્થતંત્રનો વિચાર આવે તે કદાચ આજે વિશ્વ સ્તરે વિસ્તરેલી રુગ્ણતા છે. જે સ્થિતિ ત્યાં થઈ છે તે પછી વિચાર તો અનેક પ્રકારના કરવાના રહે છે. 

દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલા નાના પણ રમણીય દેશની ચર્ચા છેલ્લે તો શાંતિ માટેના નોબેલ પુરસ્કાર સંદર્ભે થઈ હતી. અત્યારે સમસ્ત વિશ્વની સહાનુભૂતિ આ દેશને સાંપડી રહી છે. ઉત્તરે કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરની જળરાશિ જ્યાં ઘૂઘવે છે તે વેનેઝુએલાનું અર્થતંત્ર ક્રૂડ અૉઈલ-ખનિજ તેલ ઉપર આધારિત છે. ગુરુવારે આ વેનેઝુએલામાં કાળ ત્રાટક્યો અને વિનાશક ધરતીકંપ થયો જેને લીધે 250થી વધારે લોકોનાં મૃત્યુની આશંકા છે. આભ સાથે વાતો કરતી ઇમારતો ક્ષણાર્ધમાં કાટમાળ બની ગઈ હતી. હજારો લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક તો હજુ કેટલો વધશે તે કહી શકાય તેમ નથી. જે રીતે ધરતી ધ્રુજી છે તે જોતાં વેનેઝુએલાને જલદી કળ વળે તેવી શક્યતા નથી. 

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોની તંગી અને ભાવમાં વૃદ્ધિ અનેક દેશો અનુભવી રહ્યા છે. વેનેઝુએલામાં ધરતીકંપને કારણે ઊર્જા સંકટ ઊભું થવાની શક્યતા છે. જોકે, ભારતને તેની કોઈ અસર થવાની નથી. ભારતે આ દુર્ઘટનાને એ દૃષ્ટિએ જોઈ પણ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પછી તરત જ સંવેદના વ્યક્ત કરીને મુશ્કેલીના સમયમાં સંભવિત તમામ સહાય પૂર્ણ પાડવાની ખાતરી આપી છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે પણ કહ્યું છે કે, ભારત વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વેનેઝુએલાની સરકાર અને ત્યાંની પ્રજાની સાથે મજબૂતીથી ઊભું છે. ભારતે વેનેઝુએલાની સહાય માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય લશ્કરની 60 હૉસ્પિટલના સદસ્યોની ટુકડી રવાના કરાઈ છે.

200 દર્દીઓની તાત્કાલિક સારવાર થઈ શકે તેવું આઇસીયુ તથા અૉપરેશન થિયેટર ઊભું કરી શકાય તેવી વ્યવસ્થા સાથે ટુકડી પહોંચી છે. દવા અને અન્ય સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનાં વિમાન પહોંચ્યાં છે. વિશ્વમાં ક્યાંય પણ આવી મુસીબત આવે ત્યારે ભારત સરહદને બદલે અનહદમાં માને છે અને તેનો આ વધુ એક પુરાવો છે. જે થઈ ગયું છે તે મિથ્યા નહીં થાય પરંતુ ફરીથી વેનેઝુએલા બેઠું થાય તેવી કામના ખરા અર્થમાં વિશ્વ બંધુત્વ છે, ભારતે તેમાં પહેલ કરી છે.