સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનની વર્ષ 2021માં બહુ ગાજેલી ફિલ્મ `પુષ્પા: ધ રાઈઝ'ની સીક્વલ `પુષ્પા: ધ રૂલ' આવવાની છે. આ ફિલ્મ 15મી અૉગસ્ટના રોજ રિલીઝ કરવાનો નિર્ણય મેકર્સે લીધો છે. મૂળ ફિલ્મની જેમ જ આ ફિલ્મ બૉક્સ અૉફિસ પર નવા વિક્રમો સર્જશે એવી આશા રાખવામાં આવી છે ત્યારે આ ફિલ્મનો વધુ એક ભાગ બની રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. મળતી માહિતી અનુસાર અગાઉ આ ફિલ્મના બે ભાગ બનાવવાનો નિર્ણય મેકર્સે લીધો હતો, પરંતુ પુષ્પાના પાત્રને ભારતની સાથે વિદેશમાં લોકપ્રિયતા મળી રહી હોવાથી ફિલ્મનો વધુ એક પાર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
હાલમાં ફિલ્મના દિગ્દર્શક સુકુમાર રામચરન સાથેના પ્રોજેક્ટ માટે વ્યસ્ત છે. તેથી જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે પુષ્પાનો ત્રીજો ભાગ `પુષ્પા: ધ રૉર'નું કામ શરૂ કરાશે. પુષ્પાના બીજા ભાગની સફળતાને ધ્યાનમાં રાખીને ક્રિપ્ટિંગમાં ફેરફાર કરવામાં આવશે. આ ફિલ્મ માટે બાકી રહી ગયેલા સીનનું શૂટિંગ જૂન મહિના સુધીમાં પૂરું કરાશે અને ફિલ્મના ત્રીજા અને અંતિમ ભાગ માટેનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.