મહાનગર - મુંબઈની હાલત અત્યારે ખાડા નગર જેવી થઈ છે. ઠેર ઠેર ખોદાયેલા માર્ગનો કાયાકલ્પ કરીને સિમેન્ટ-કૉંક્રીટ પાથરવાની યોજના અમલમાં છે પણ તેમાં જે `ભ્રષ્ટાચાર' થાય છે તેના ખાડા ક્યારે પુરાશે? એ મુખ્ય પ્રશ્નો છે. સિમેન્ટ કૉંક્રીટની ગુણવત્તામાં છેડછાડ થાય છે તેથી નવા માર્ગ કેટલાં વર્ષ સુધી ટકી શકશે? એક જ વરસાદમાં માર્ગો ધોવાઈ જાય અને ગાબડાં પડે તો સિમેન્ટ-કૉંક્રીટીકરણની યોજના ઉપર કાળી ટીલી લાગશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બાબત સચિંત અને સક્રિય છે. છેલ્લા દસ દિવસ સુધરાઈના અધિકારીઓને જાત તપાસ કરવાના આદેશ પછી બે રોડ કૉન્ટ્રાક્ટરોને-દરેકને વીસ વીસ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને `રેડી મિક્સ કૉંક્રીટ'ના બે પ્લૉટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. આગામી છ મહિના સુધી કૉંક્રીટ સપ્લાય કરવાની મનાઈ ફરમાવાઈ છે. બીજા એક કૉન્ટ્રાક્ટરે આરે કૉલોનીમાં સિમેન્ટ-કૉંક્રીટીકરણમાં ભારે વિલંબ કર્યો હોવાથી આગામી બે વર્ષ સુધી તે કોઈ ટેન્ડર ભરી શકશે નહીં. ઉપરાંત પાંચ લાખ રૂપિયાનો દંડ થયો છે.
જાહેર બાંધકામમાં ભ્રષ્ટાચાર પકડવા અને
રોકવા માટે લેવાયેલાં પગલાં અન્ય કૉન્ટ્રાક્ટરો માટે સ્પષ્ટ ચેતવણી છે પણ આ અભિયાન
જારી રાખવાની જરૂર છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ખાતરી આપે
છે કે, રોડ કૉંક્રીટીકરણ ચાલુ રહેશે. મુંબઈના 2050 કિ.મી. માર્ગોમાંથી 500 કિ.મી. માર્ગ
ખોદાયેલા છે અને ચોમાસાના આગમન પહેલાં - 31મી મે સુધીમાં આ કામ પૂર્ણ થવાની આશા છે.
ચોમાસામાં રસ્તા પરના ખાડાને કારણે થતાં
અકસ્માત અને જતાં જીવ તથા પાણી ભરાવાને કારણે થતી હાલાકીની નોંધ રાજ્ય સરકારે લઈ આ
વખતે એપ્રિલ મહિનાના મધ્યમાં જ કામગીરી શરૂ કરી છે, એ બાબત મુંબઈગરાં માટે રાહત સમાન
છે. બાકી, દર વર્ષે તો મે મહિનામાં રસ્તા પરના ખાડાની ચર્ચા-ચિંતા શરૂ થાય છે અને પહેલા
વરસાદમાં જ થયેલા કામની પોલ ખૂલી જાય છે. આશા રાખીએ કે આ વખતે મુંબઈ ચોમાસામાં ખરાઅર્થમાં
મહાનગર સાબિત થાય.